સેબીની માર્ગદર્શિકાથી સ્ટોકની લિક્વિડિટી વધારવામાં મદદ
બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં લિસ્ટેડ કંપનીના મોટા ભાગના પ્રમોટરો પાસે મોટો હિસ્સો હોય છે, જ્યારે સામાન્ય રોકાણકારો પાસે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી જ ટકાવારીનો હિસ્સો હોય છે. તેના કારણે મોટા ભાગના પ્રમોટરો પોતાની કંપનીના શેરમાં પોતાની મનમાની મુજબ વધ-ઘટ કરી રમત રમે છે. એટલું જ નહીં પ્રમોટરો પાસે ઊંચો હિસ્સો હોવાના કારણે કંપની પણ મનમાની રીતે ચલાવે છે, જેના કારણે નાના રોકાણકારોને મોટું આર્થિક નુકસાન જાય છે, જેના પગલે સેબીએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં કંપનીના પ્રમોટરો પાસે ઊંચો હિસ્સો હશે તેઓએ કંપનીમાં પોતાનું રોકાણ હળવું કરવું પડશે એટલું જ નહીં સામાન્ય રોકાણકારો માટે ઓછામાં ઓછો 25 ટકા હિસ્સો ફરજિયાત રાખવો પડશે, જેની મુદત 30 જૂને પૂરી થઇ રહી છે.
ખાનગી કંપનીઓની જેમ જાહેર ક્ષેત્રનાં એકમો માટે પણ સેબીની માર્ગદર્શિકા મુજબ પીએસયુમાં સામાન્ય રોકાણકારો માટે ઓછામાં ઓછો 10 ટકા હિસ્સો રાખવો પડશે, જેની મુદત આગામી 31 ઓગસ્ટના રોજ પૂરી થઇ રહી છે. આવા સંજોગોમાં બજારમાં શેરની લિક્વિડિટી વધવાની શક્યતા છે. બજારમાં શેરોનો ફ્લો વધતા બજારમાં ઊંચી સપાટીએ ફરી એક વાર કરેક્શન આવી શકે છે. જોકે બજારનો એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે સેબીની આ માર્ગદર્શિકાની ડેડલાઇન વધી શકે છે.