ટેલિકોમ કમિશને રાષ્ટ્રીય મોબાઇલ નંબર પોર્ટેબિલિટીને મંજૂરી આપી
નવી દિલ્હી, 14 જૂન : ટેલિકોમ મંત્રાલયે નેશનલ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા શરૂ કરવાનું વિચાર્યું છે. આ અંગેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટ્રાઇ દ્વારા તેને કેટલીક ઔપચારિક મંજૂરીઓ મળ્યા બાદ ટૂંક સમયમાં આ સેવા શરૂ થઈ જશે.
આ સેવા શરૂ થવાથી એક શેહરમાંથી બીજા શહેરમાં સ્થળાંતર કરતા લોકો તેમનો જૂનો મોબાઇલ નંબર રોમિંગ વિના ચાલુ રાખી શકશે. આ મહત્વના નિર્ણયથી લાખો મોબાઇલ યુઝર્સને રાહત થશે.
વર્તમાન સમયમાં હોમ સર્કલ બહાર ફોન ઉપયોગ બદલ કંપની રોમિંગ ચાર્જ વસુલે છે. નેશનલ મોબાઇલ પોર્ટેબિલિટી લાગુ કરાતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ થતા નંબર રોમિંગ વિના ચાલુ રહેશે.
ટ્રાઇએ સપ્ટેમ્બર 2013માં નેશનલ પોર્ટેબિલિટી છ મહિનામાં લાગુ કરવા જણાવ્યું હતું પરંતુ આ મુદ્દે કેન્દ્રીય ટેલિકોમ કમિશન નિરુત્તર રહેતા આ મુદ્દો પેન્ડિંગ હતો. સત્તામાં મોદી સરકાર આવતાની સાથે જ ટેલિકોમ કમિશને આ દરખાસ્તને માન્ય રાખી લીધી છે, આથી ટ્રાઇ હવે આ મુદ્દે આગામી બે મહિનામાં તેની મંજૂરી આપી દેશે તેવી શક્યતાઓ છે.
ભારતમાં 22 ટેલિકોમ સર્કલ છે, જેમાં ઇન્ટ્રા - સર્કલ નંબર પોર્ટેબિલિટીની સેવા મળે છે. પરંતુ જો સર્કલ બદલવું હોય તો પોર્ટેબિલિટીની સેવા ઉપલબ્ધ નથી. અગાઉ હરિયાણામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઇન્ટ્રા - સર્કલ પોર્ટેબિલિટીની શરૂઆત થઈ હતી. જેને 2011માં સમગ્ર દેશમાં લાગુ કરી દેવાઈ હતી. હવે બીજા સર્કલમાં પણ મોબાઇલ નંબર શિફ્ટ થઈ શકશે.