રિલાયન્સની આ કંપનીએ રોકાણકારોના રૂપિયા ડુબાડ્યા, વેલ્યુએશન ઝીરો થઈ
અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ કેપિટલે રોકાણકારોના રૂપિયા ડુબાડ્યા છે. આ કંપનીનું વેલ્યુએશન ઝીરો થતા હવે તેનું ટ્રેડિંગ બંધ થઈ ગયુ છે.
રિલાયન્સ કેપિટલના શેરનું છેલ્લું ટ્રેડિંગ 26 ફેબ્રુઆરીએ થયું હતું. તે દિવસે શેરની કિંમત 11.90 રૂપિયા હતી. રિલાયન્સ કેપિટલને હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા હસ્તગત કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, હિન્દુજા ગ્રૂપે રિલાયન્સ કેપિટલને શેરબજારમાંથી ડિલિસ્ટ કરવાની અને હાલના શેરને લિક્વિડેટ કરવાની યોજના બનાવી છે. ડી-લિસ્ટિંગનો અર્થ એ છે કે હવે રિલાયન્સ કેપિટલના શેરનો વેપાર થશે નહીં કે રોકાણકારો તેના શેરનું વળતર પણ નહીં મેળવી શકે.
વર્ષ 2008માં રિલાયન્સ કેપિટલના શેરની કિંમત 2700 રૂપિયાથી વધુ હતી. હાલમાં આ શેર 99 ટકા ઘટ્યો છે.
એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, રિલાયન્સ કેપિટલ એટલે કે RCLના શેરનું ટ્રેડિંગ હવે નહીં થાય. રિલાયન્સ કેપિટલના શેરના ડી-લિસ્ટિંગનો અર્થ એ છે કે તેમનું મૂલ્યાંકન શૂન્ય થઈ ગયું છે. આ સ્થિતિમાં રોકાણકારોના તમામ પૈસા ડુબી ગયા છે. શેરધારકો કોઈપણ રિફંડ માટે હકદાર નહીં રહે.
RCLના કોઈપણ શેરધારકને કોઈ ઓફર કરવામાં આવશે નહીં. શેરને ડી-લિસ્ટ કરવાના નિર્ણય સાથે તેની વર્તમાન કિંમત ગમે તે હોય પણ શૂન્ય થઈ જાય છે. શેરધારકોને હવે વળતરમાં કંઈ મળવાનું નથી.
NCLTએ મંગળવારે હિન્દુજા ગ્રૂપની કંપની IndusInd International Holdingsના રિલાયન્સ કેપિટલ પર નિયંત્રણ મેળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સોલ્યુશન લાગુ કરવા માટે ખરીદનારને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
રિલાયન્સ કેપિટલ પર 38 હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું. રિલાયન્સ કેપિટલ ગ્રાહકોને લગભગ 20 ફાઇનાન્સ સંબંધિત સેવાઓ પૂરી પાડતી હતી. કંપનીએ જીવન વીમો, સામાન્ય વીમો અને આરોગ્ય વીમા સંબંધિત સેવાઓ પૂરી પાડી હતી. કંપની કોમોડિટી બ્રોકિંગ, ઇક્વિટી, કોમર્શિયલ અને હોમ લોન જેવા ક્ષેત્રોમાં પણ સેવાઓ પૂરી પાડે છે.












Click it and Unblock the Notifications
