RBI ગવર્નરની લપડાક બાદ બેંકોએ વ્યાજદરમાં કર્યો ઘટાડો
નવી દિલ્હી, 8 એપ્રિલ: આરબીઆઇ ગવર્નરની ફટકાર બાદ બેંકોએ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. ભલે આરબીઆઇના જણાવ્યા બાદ પરંતુ ચલો દેશની બેંકોએ વ્યાજદરોમાં ઘટાડો તો કર્યો, જેના કારણે લોન ધારકો માટે મોટા રાહતના સમાચાર છે.
દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક આઇસીઆઇસીઆઇ બેંકે બેસ રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. હવે આઇસીઆઇસીઆઇ બેંક બેસ રેટ 9.75 ટકા થઇ ગયો છે. આ પહેલા વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત એસબીઆઇએ કરી. એસબીઆઇએ બેસ રેટમાં 0.15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી અને બેંકનો બેસ રેટ 9.85 ટકા થઇ ગયો છે. જ્યારે એચડીએફસી બેંકે પણ બેસ રેટમાં 0.15 ટકાનો કાપ મૂક્યો છે. એચડીએફસી બેંકનો બેસ રેટ 9.85 ટકા થઇ ગયો છે.
દેશની ત્રણ મોટી બેંકોએ વ્યાજદરોમાં કપાત કર્યા બાદ પોતાના લોનની ઇએમઆઇમાં પણ ઘટાડો થશે. જો આપે 20 વર્ષ માટે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો થાય છે તો દર મહીને આપના ઇએમઆઇમાં 601 રૂપિયાની બચત થશે. જ્યારે જો આપના વ્યાજદરમાં 0.15 ટકાનો ઘટાડો થાય છે તો એટલી જ લોન પર લગભગ 400 રૂપિયાની બચત થશે.