યુપીના મુખ્યમંત્રી પણ કરવા માંગે છે ધર્મ પરિવર્તન
કાનપુર, 12 ડિસેમ્બર : આગ્રામાં 200 લોકોના જબરદસ્તી ધર્મપરિવર્તન સામે એક તરફ સંસદમાં ધર્માંતરણ મુદ્દે મોટી ધમાલ મચી છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ આ મુદ્દે મજાક કરી રહ્યા છે. તેમણે આ મુદ્દે કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપ અમારું પણ ધર્મપરિવર્તન કરાવી દે, પણ તેઓ એ તો જણાવી દે કે અમને શું બનાવશે?
અખિલેશ યાદવે શુક્રવારે કાનપુરમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજવાદી પાર્ટી માત્ર વિકાસ પર ધ્યાન આપે છે. તેમણે જણાવ્યું કે અમારી પાર્ટી ધર્મ, જાતિ કે સંપ્રદાયના મુદ્દાઓને છોડીને બાકીના અન્ય તમામ કાર્યો કરે છે.
તેમણે આ સાથે એવો દાવો પણ કર્યો કે સપાએ ઉત્તરપ્રદેશમાં વિકાસના સૌથી વધારે કાર્યો કર્યા છે. તેને જોતા ઇર્ષાવશ થઇને અનેક પ્રાટીઓ હવે ઉત્તર પ્રદેશનો માહોલ ખરાબ કરવામાં લાગી ગઇ છે.
તેમણે જણાવ્યું કે 'સમાજવાદી લોકો ભેદભાવ કરતા નથી. અમે તો તમામ વર્ગને યોજનાઓનો લાભ આપવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે કોઇની સાથે ભેદભાવ નથી કરતા. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની સરકાર વાસ્તવિકતામાં વિશ્વાસ ધરાવે છે. લોકો અમને બદનામ કરવામાં લાગી ગયા છે. પરંતુ અમે પ્રદેશને પ્રગતિના પથ પર આગળ લાવવામાં લાગેલા છીએ.'