જાણો, હિન્દુ ધર્મમાં આઠ પ્રકારે થાય છે લગ્ન
સમય બદલાતાની સાથે સાથે લગ્નની પ્રથામાં પણ થોડોક બદલાવ આવી જાય છે, તેમ છતાં આજે પણ દરેકના જીવનમાં લગ્ન એક અનેરું સ્થાન ધરાવે છે. દરેક સંસ્કૃતિમાં લગ્નને ખાસ પ્રકારનું મહત્વ આપવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિની વાત કરવામાં આવે તો લગ્નએ વ્યક્તિના જીવનમાં આવતી એક ઘણી જ અગત્યની પળ માનવામાં આવે છે. લગ્ન બાદ પુરુષ અને સ્ત્રી જીવનના એક અનોખા તબક્કામાં દાખલ થાય છે.
હિન્દુ ગ્રંથ અનુસાર પુરુષ અને સ્ત્રી ત્યારે જ પરણી શકે છે, જ્યારે તેઓ તેમનું શિક્ષણ પૂર્ણ કરી લે. એનો અર્થ એ છેકે લગ્ન ત્યારે જ કરાવવામા આવે છે, જ્યારે બન્ને એકબીજાની જવાબદારી સારી પેઠે ઉઠાવી શકે. તેઓ એકબીજાને પ્રેમ અને સન્માન આપતા હોવા જોઇએ. જીવનના દરકે તબક્કે બન્ને એકબીજાની સાથે હોય. બન્ને લગ્ન જીવનને સફળ બનાવવા માટે બનતા પ્રયત્નો કરતા હોવા જોઇએ.
જ્યારે આપણે હિન્દુ સંસ્કૃતિના લગ્ન અંગે વાત કરીએ ત્યારે ચોક્કસ પણે તેમાં વધુ ઉંડા ઉતરવાની ઇચ્છા થાય છે. જ્યારે તમે લગ્ન અંગે વાંચશો અથવા જાણશો ત્યારે આશ્ચર્ય પામશો કે હિન્દુ સંસ્કૃતિમાં લગ્નના એકાદ બે નહીં પરંતુ પૂરા આઠ પ્રકાર છે. જી હાં, હિન્દુ સંસ્કૃતિમાં આઠ પ્રકારે લગ્ન કરાવવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ આઠેય પ્રકારને.

બ્રહ્મ વિવાહ
આ પ્રકારના લગ્નમાં માતા દ્વાર પસંદ કરવામાં આવેલા વરને વિવાહ માટે નિમંત્રણ આપીને કન્યા સોંપવામાં આવે છે. આ પ્રકારના લગ્નને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

દૈવ વિવાહ
આ પ્રકારના લગ્નમાં કન્યાનો પિતા પોતાની પુત્રીને યજ્ઞ કરાવનાર પુરોહિતને સોંપી દે છે, આ પ્રાચીનકાળમાં એક આદર્શ વિવાહ ગણાતા હતા, પરંતુ આજકાલ તે અપ્રાસંગિક થઇ ગયા છે.

આર્ષ વિવાહ
આ પ્રકારના લગ્નમાં વર પાસેથી ગાય-બળદ વિગેરે લઇને કન્યાનું દાન પિતા દ્વારા કરવામાં આવતું હતું, જો કે તેનો અર્થ કન્યાનું મૂલ્ય મેળવવાનો નહીં પરંતુ તે માત્ર ધાર્મિક વિધિ પૂરતું જ હતું.

પ્રજાપત્ય વિવાહ
આ પ્રકારના વિવાહને પણ ઉચિત માનવામા આવે છે. આ પ્રકારના લગ્નમાં માતા પિતા દ્વારા વરની પસંદગી, કન્યાદાન સહિતની વિધિઓ કરવામાં આવે છે.

અસુર વિવાહ
આ પ્રકારના લગ્નમાં કન્યાનું મૂલ્ય ચૂકવીને તેની સાથે લગ્ન કરવામાં આવે છે.

ગાંધર્વ વિવાહ
આ પ્રકારના લગ્ન એટલે અત્યારના પ્રેમ લગ્ન. આ પ્રકારના લગ્ન માતા અને પિતાની ઇચ્છા વિરુદ્ધ વર-કન્યા દ્વારા પોતાની જાતે એકબીજાને પતિ-પત્ની માનીને કરવામાં આવે છે. આ પ્રકારના લગ્નમાં ધાર્મિક વિધિ નહીં હોવા છતાં પણ તેને કાયદેસરતા મળેલી છે.

રાક્ષસ વિવાહ
આ પ્રકારના લગ્નમાં કન્યાના પરિવાર સાથે લઇને લગ્ન કરવામાં આવે છે, જેમા કન્યાની મરજી વગર તેનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કરવામાં આવે છે.

પિશાચ વિવાહ
આ પ્રકારના લગ્નમાં કપટતાપૂર્વક કન્યાની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી તેની સાથે લગ્ન કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
