એક મુખ્યમંત્રી કે જે સૈનિકોનો જુસ્સો વધારતા થયા શહીદ!
અમદાવાદ, 18 સપ્ટેમ્બર : આજે દેશ ભરમાં એક-બે નહીં, પણ ત્રીસ-ત્રીસ મુખ્યમંત્રીઓ છે, પરંતુ આજે આપણે એક એવા મુખ્યમંત્રી વિશે વાત કરવા જઈ રહ્યાં છે કે જેમનો આજે બલિદાન દિવસ છે. આ એ મુખ્યમંત્રી છે કે જેઓ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોનો જુસ્સો વધારવા માટે સરહદે પહોંચ્યા અને પાકિસ્તાની હુમલોનો ભોગ બની શહીદ થઈ ગયા હતાં.
એક દિવસ હતો 18મી સપ્ટેમ્બર, 1965નો અને શહીદ થયા હતાં બળવંતરાય મહેતા કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં. આજે તેમનો 49મો શહીદી દિવસ છે. એપ્રિલ-1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ છેડાયુ હતું અને સપ્ટેમ્બર-1965 સુધી ચાલ્યુ હતું. યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સાથે જોડાયેલી દરેક સરહદે સૈન્યનો ધમધમાટ ચાલતો હતો. તેમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે પણ સેના પાકિસ્તાન સામે યુદ્ધે ચડી હતી.
આવો તસવીરે સાથે જાણો વધુ વિગતો :
અને મહેતા નિકળ્યા સરહદની મુલાકાતે
બળવંતરાય મહેતા 18 જૂન, 1963ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં. જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ છેડાયુ, ત્યારે મેહતા મુખ્યમંત્રી હતાં. યુદ્ધના પગલે સરહદી રાજ્ય હોવાના નાતે ગુજરાત પણ અસરગ્રસ્ત હતું. તેવી પરિસ્થિતિમાં બળવંતરાય મહેતા જેવી વ્યક્તિ શાંત કઈ રીતે બેસત. તેઓ આ યુદ્ધ દરમિયાન ગુજરાતની સરહદોએ તહેનાત સૈનિકોનો સતત જુસ્સો વધારી રહ્યા હતાં. એ જ દરમિયાન 18મી સપ્ટેમ્બર, 1965ના રોજ બળવંતરાય મહેતા પોતાના પત્ની સરોજિની મહેતા સાથે સરહદી જિલ્લા કચ્છની મુલાકાત નિકળ્યાં.
પાકિસ્તાનનો હુમલો
બળવંતરાય મહેતા શેષના નામના વિમાન ઉપર સવાર થયાં. તેમની સાથે પત્ની સરોજિની ઉપરાંત પાયલૉટ એમ. જે. એંજીનિયર સહિત નૌ જણા વિમાનમાં હતાં. વિમાન કચ્છના નખત્રાણા ખાતે સુથરી નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે જ પાકિસ્તાની વિમાનોએ હુમલો કર્યો અને શેષના દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ અકસ્માતમાં બળવંતરાય મહેતા અને તેમના પત્ની સરોજિની સહિત વિમાનમાં બેઠેલા તમામ નવ જણા શહીદ થયાં. સુથરી ગામે આજે પણ બળવંતરાય મેહતાનું સ્મારક છે.
છેતાલીસ વર્ષે માફી માંગી
ભારત-પાક યુદ્ધમાં વિજય તો ભારતનો થયો હતો, પરંતુ બળવંતરાય મહેતાની શહાદત અંગે પાકિસ્તાને પૂરા 46 વર્ષે માફી માંગી હતી. પાકિસ્તાની વાયુસેનાના જે વિમાન દ્વારા મેહતાના વિમાન ઉપર મિસાઇલ છોડવામાં આવી હતી, તેના પાયલૉટ કૈસ હુસૈને ઑગસ્ટ-2011માં પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. પાયલૉટે શેષના વિમાનના પાયલૉટની પુત્રીને ઈ-મેલ મોકલી તેને સૉરી કહ્યુ હતું. પાકિસ્તાની વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારી કૈસર તૂફૈલે 2011માં 1965ના આ બનાવની તપાસ કરી હતી અને માન્યુ હતું કે બળવંતરાય મહેતાના નાગરિક વિમાન ઉપર હુમલો એ પાકિસ્તાનની ભૂલ હતી. આ રિપોર્ટ બાદ જ હુમલાખોર વિમાનના પાયલૉટે માફી માંગી હતી.
પંચાયતી રાજના જનક
જોકે બળવંતરાય મહેતાને પંચાયતી રાજના પ્રણેતા તરીકે પણ યાદ કરવામાં આવે છે. ગુજરાતમાં કે દેશમાં ભલે મહેતાને તેમની જન્મતિથિ કે પુણ્યતિથિએ મોટાપાયે યાદ ન કરાતા હોય, પણ કેરળ રાજ્ય 2012થી સતત દર વર્ષે મહેતાની જન્મજયંતી ધામધૂમપૂર્વક ઉજવે છે. બળવંતરાય મહેતાના નેતૃત્વ હેઠળ બનેલી સમિતિની ભલામણ બાદ જ 2જી ઑક્ટોબર, 1959થી દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી.
ગુલઝારીલાલ નંદા સાથે મહેતા
આજે જ્યારે બળવંતરાય મહેતાની શહાદતની વાત નિકળી જ છે, તો આવો એ પણ જાણી લઇએ કે મહેતા પછી કયા રાજનેતાઓ આવા વિમાન અકસ્માતોના ભોગ બન્યા હતાં. આ યાદીમાં માધવરાવ સિંધિયા, જી. એમ. સી. બાલયોગી, દોરજી ખાંડૂ તથા વાય એસ રાજશેખર રેડ્ડીનો સમાવેશ થાય છે. જોકે આ લોકોને શહીદ ન કહી શકાય.