ઈદ-ઉલ-ફિત્રનુ મહત્વ, ઉજવણી, તારીખ, જાણો તેના વિશે બધુ
દુનિયાભરમાં મુસ્લિમ સમુદાય માટે સૌથી મોટો તહેવાર ઈદ-ઉલ-ફિત્ર કે ઈદ છે. જાણો તેના વિશે બધુ
દુનિયાભરમાં મુસ્લિમ સમુદાય માટે સૌથી મોટો તહેવાર ઈદ-ઉલ-ફિત્ર કે ઈદ છે. ઈસ્લામિક કેલેન્ડરમાં નવમો મહિનો રમઝાન પૂરો થતા અને દસમાં મહિનાની સવાર થયા પછી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રમઝાન વર્ષનો સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેમાં મુસ્લિમો વહેલી સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે. દાન અને સામાજિક કાર્યો કરે છે અલ્લાહની બંદગી કરે છે. ઈદનો તહેવાર ભાઈચારાનુ પ્રતીક છે.
કઈ તારીખે મનાવાય ઈદ
ઈસ્લામિક કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત છે. આ વર્ષે ઈદ ગુરુવારે(13 મે)ના રોજ મધ્ય-પૂર્વ અને પશ્ચિમમાં ઉજવવામાં આવશે કારણકે ગઈ કાલે અર્ધચંદ્રાકાર જોવા મળ્યો નહોતો. ભારત અને એશિયન સબકોન્ટીનેન્ટ આજે ચંદ્ર જોવાનો પ્રયત્ન કરશે અને તેના આધારે ગુરુવાર અથવા શુક્રવારે ઈદ ઉજવવામાં આવશે. ઈસ્લામિક કેલેન્ડર સૂર્યને બદલે ચંદ્રને અનુસરે છે જેથી ચંદ્રનુ નિરીક્ષણ કરવુ મહત્વનુ છે.
શું છે ઈદનુ મહત્વ
ઈદ-ઉલ-ફિત્ર એ રમઝાનના આધ્યાત્મિક મહિના પછીની ઉજવણીનો દિવસ છે જેમાં મુસ્લિમ સમુદાય રોજા અને સારા કાર્યો દ્વારા અલ્લાહની નજીક જવાનો પ્રયાસ કરે છે. તે એક એવો દિવસ છે જેમાં મુસ્લિમો રમઝાનના પવિત્ર મહિના અને તેના તમામ આશીર્વાદો આપવા બદલ આભારી છે. તેઓ આખુ વર્ષ તેમની ધર્મનિષ્ઠામાં વધારો થાય તે માટે અલ્લાહને પ્રાર્થના કરે છે. ઈદના દિવસે તમે રોજો ન રાખી શકો કારણકે એ ઉજવણીનો દિવસ છે.
'જ્યારે સ્થિતિ સુધરશે, રાધેને થિયેટર્સમાં જરૂર રિલીઝ કરાશે'
કેવી રીતે થાય છે ઈદની ઉજવણી
વિશ્વભરના મુસ્લિમ લોકો સવારે ઈદની નમાઝ મસ્જિદમાં અદા કરે છે. પરંતુ આ વર્ષે કોરોના પ્રતિબંધોના કારણે લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં જ ઈદની નમાઝ અદા કરશે. લોકો નવા કપડો પહેરે છે અને પરિવારના મોટા સભ્યો નાના બાળકો અને નાના સભ્યોને ઈદી અથવા ઈદની ભેટ આપે છે. ઈદ પર સ્વાદિષ્ટ ભોજન પણ બનાવવામાં આવે છે. ભારતમાં ઈદના દિવસે સેવૈયા બનાવવામાં આવે છે. દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ ઈદના દિવસે બનાવવામાં આવે છે. લોકો એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવે છે.