Flight Emergency Landing: બોમ્બની ધમકી બાદ ઈમરજન્સી લેન્ડ કરાયેલા પ્લેનને કઈ પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે?
Flight Emergency Landing : ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગને લઈને હંગામો મચ્યો છે. બોમ્બની ધમકી બાદ ઘણી ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડ કરવાની ફરજ પડી છે.
સમાચાર લખાય છે તેના થોડા કલાકો પહેલા જ લંડનના હિથ્રો એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે. આ ફ્લાઈટે આપાતકાલની જાહેરાત કરી હતી.

આજે આપણે આ ઘટનાઓ વચ્ચે એ જાણવાના છીએ કે કોઈ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયા બાદ તેને કેવી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે?
જણાવી દઈએ કે, જ્યારે પ્લેનમાં બોમ્બની ધમકી મળે છે ત્યારે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવે છે. પાયલોટ એર ટ્રાફિક કંટ્રોલને પરિસ્થિતિ વિશે જાણ કરે છે અને નજીકના એરપોર્ટ પર વિમાનને લેન્ડ કરવાનું નક્કી કરે છે.
આ પ્લેન લેન્ડ થતાની સાથે જ તેને રનવે પરથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે છે, જેથી કોઈ ઘટનાથી અન્ય પ્લેન કે લોકો માટે ખતરો ન સર્જાય.
પ્લેન લેન્ડ થતા જ સુરક્ષા એજન્સીઓની ટીમ એરપોર્ટ પર સક્રિય થઈ જાય છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નિફર ડોગ્સ અને નિષ્ણાતોની ટીમ આખા પ્લેનની બારીકાઈથી તપાસ કરે છે. તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવે છે અને તેમના સામાનની પણ તપાસ કરવામાં આવે છે.
આ તમામ તપાસ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. સુરક્ષા એજન્સીઓ કોઈપણ વિસ્ફોટક સામગ્રીના જોખમને સંપૂર્ણપણે દૂર કરવા વિગતે તપાસ કરે છે. જો કોઈપણ પ્રકારનો કોઈ વિસ્ફોટક પદાર્થ ન મળે તો તેને ફોલ્સ એલાર્મ જાહેર કરવામાં આવે છે.
આ પછી વિમાનને ઉડવાની મંજૂરી આપવામાં આવે છે પરંતુ તે પહેલાં વિમાનની તકનીકી રીતે સંપૂર્ણ તપાસ પણ કરવામાં આવે છે જેથી સલામતીમાં કોઈ ક્ષતિ ન રહે. આ પ્રક્રિયામાં ઘણા કલાકોથી લઈને એક દિવસનો સમય લાગી શકે છે અને સુરક્ષા વિભાગ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ પ્લેનને ફરીથી ઉડાન ભરવા પરવાનગી મળે છે.












Click it and Unblock the Notifications
