ડિજિટલ પ્રતિબંધ: વ્યક્તિ સ્વાતંત્ર્ય પર કાપ?
છેલ્લા ઘણાં સમયથી ગુજરાતની સ્થિતિ પાટીદાર સમાજના આંદોલનને લઇને તણાવભરી બની રહી છે. ગઇકાલે પણ ગુજરાતમાં એવો જ માહોલ જોવા મળ્યો હતો. જી હા, આંદોલનો કરવા વાળા આંદોલનો કરે અને સામાન્ય માણસને ભીંસાવાનું થયું.
પાટીદારોએ સુરતમાં એક્તા યાત્રા કાઢવાનો પ્રયાસ કર્યો, અને ત્યારબાદ હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી. જો કે રાત્રે તેને છોડી મૂકવામાં આવ્યો. પણ આ પટેલ આંદોલનને લઇને સામાન્ય માણસના વ્યક્તિ સ્વાતંત્ર્ય પર કાપ થતો હોય તેવો નિર્ણય કરતા ગુજરાત સરકારે રાજ્યભરમાં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવા પર પ્રતિબંધ મુકી દીધો.
છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં વ્યક્તિની ડિજિટલ સ્વતંત્ર્યતા પર કાપ મૂકવાનો આ ત્રીજો બનાવ છે. જે ફરી એકવખત કટોકટીની યાદ અપાવી જાય છે.
ડિજિટલ ઇન્ડીયા
જ્યાં એક તરફ નરેન્દ્ર મોદીની સરકાર ડિજિટલ ઈન્ડિયાનો રાગ આલાપી રહી છે. ત્યાં બીજી તરફ ગુજરાતની ભાજપ સરકારે રાજ્યભરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો. આ પહેલા પણ અમદાવાદીઓને એક અઠવાડિયા સુધી મોબાઈલ ઈન્ટરનેટથી વંચિત રાખવામાં આવ્યાં હતા.
અફવાઓનું ચલણ
રાજ્યમાં ક્યાંક ચોવીસ કલાક, ક્યાંક છત્રીસ કલાક, ક્યાંક સાત દિવસ તો ક્યાંક અનિશ્વિત કાળ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ખોટા મેસેસ અટકાવવા માટે આખે આખો માહિતીનો સ્ત્રોત બંધ કરી દેવામાં આવ્યો.
ગુજરાતની છબી ખરડાઇ
વર્ષો પછી ફરી એકવખત વારંવારના ઈન્ટરનેટ પર પ્રતિબંધથી ગુજરાતની છબી વિશ્વ સ્તરે ખરડાઈ રહી છે. ડિજિટલ ઈન્ડિયાનો રાગ આલાપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. ત્યાં જો કોઈ તેમને ડિજિટલાઈઝેશનની વાત વચ્ચે ગુજરાતમાં વારંવાર ઝીંકાતા નેટ બેન વિશે સવાલ પૂછશે તો શું જવાબ આપશે?
લોકશાહી
શા માટે લોકોનો અવાજ નથી સાંભળવામાં આવી રહ્યો? કોઈ રેલી કાઢવા ઈચ્છે તો તેમને શા માટે મંજૂરી નથી આપવામાં આવતી? લોકશાહીમાં "શાંતિથી" રેલી કાઢવી, સભા કરવી અને ધરણા કરવા લોકોનો અધિકાર છે. યાદ હોય તો આઝાદી પણ આપણે તો આ શાંતિપૂર્ણ માર્ગે જ મેળવી છે.
કાયદો-વ્યવસ્થા
કાયદો- વ્યવસ્થા જાળવવાનું સરકારનું કામ છે તે અંગે સરકારે પગલા ભરવા જોઈએ. પણ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવી અને તમામ પ્રકારના વિરોધી સૂરોને દબાવી દેવો તે સમસ્યાનો ઉકેલ નથી. સરકાર આંદોલનકર્તાઓથી શા માટે ભાગી રહી છે? હકીકતમાં જનપ્રતિનિધિઓ અને સરકારની લોકોનો અવાજ અને વિરોધ સાંભળવાની ફરજ છે.