Lok Sabha Election : આઝાદી બાદ પહેલી વખત કેવી રીતે અપાયા ચૂંટણી ચિહ્ન? કોંગ્રેસ પાસે હતુ બીજુ નિશાન
ભારતમાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આના માટે ઈલેક્શન કમિશને વિવિધ તૈયારીઓ પુરી કરી લીધી છે અને તારીખોની જાહેરાત થઈ ગઈ છે.
આ સ્થિતી વચ્ચે શું તમે જાણો છો કે સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ચૂંટણી થઈ ત્યારે પક્ષોને ચૂંટણી ચિહ્ન કેવી રીતે આપવામાં આવ્યા? આખરે કોંગ્રેસે તે સમયે કયા ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી હતી?

કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન હાથ એટલે કે પંજો છે. પરંતુ 1951માં યોજાયેલી દેશની પ્રથમ લોકસભા ચૂંટણીમાં આ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન કંઈક અલગ હતું. એક સમયે કોંગ્રેસ પાસે પણ પોતાના ચૂંટણી ચિહ્નને બદલીને હાથી અથવા સાયકલ કરવાનો વિકલ્પ હતો.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી છે. તેની સ્થાપના 1885માં થઈ હતી. 1951-1952માં જ્યારે દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ત્યારે જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસ બે બળદની જોડીના ચૂંટણી ચિહ્ન પર મત માંગતી હતી.
આ પ્રતીક સામાન્ય લોકો અને ખેડૂતો વચ્ચે સમન્વય બનાવવામાં સફળ રહ્યું. આ પછી લગભગ બે દાયકા સુધી કોંગ્રેસ પાર્ટી આ ચિહ્નથી ચૂંટણી લડતી રહી. પરંતુ 1970-71માં કોંગ્રેસમાં ભાગલા પડી ગયા અને ચૂંટણી પંચ દ્વારા બળદની જોડીનું પ્રતીક જપ્ત કરવામાં આવ્યું હતું.
તે સમયે કામરાજની આગેવાની હેઠળની જૂની કોંગ્રેસને તિરંગો ચરખો આપીને અને ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની નવી કોંગ્રેસ પાર્ટીને ગાય અને વાછરડાનું પ્રતિક આપીને વિવાદનું સમાધાન કરવામાં આવ્યું. જો કે, એક દાયકામાં કોંગ્રેસ પક્ષમાં ફરીથી પ્રતીકને લઈને વિવાદ છેડાયો.
આ પછી 1977માં ઈમરજન્સીના અંત પછી ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો. આ દરમિયાન ચૂંટણી પંચે ગાય અને વાછરડાનું પ્રતીક પણ જપ્ત કરી લીધું. તે સમયે કોંગ્રેસ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી.
કહેવાય છે કે તે સમયે ઈન્દિરા ગાંધી તત્કાલીન શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સમયે ઈન્દિરા ગાંધીની વાત સાંભળીને શંકરાચાર્ય ચૂપ થઈ ગયા. થોડી વાર પછી જમણો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા. કહેવાય છે કે કોંગ્રેસના વર્તમાન ચૂંટણી ચિહ્નની કહાની અહીંથી જ શરૂ થઈ.
1979માં કોંગ્રેસના બીજા વિભાજન પછી ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ (આઈ)ની સ્થાપના કરી. તેમણે બુટા સિંહને ચૂંટણી ચિહ્નને ફાઈનલ કરવા માટે ચૂંટણી પંચની ઓફિસમાં મોકલ્યા. ત્યાં ચૂંટણી પંચે કોંગ્રેસ (I)ના ચૂંટણી પ્રતીક તરીકે હાથી, સાયકલ અને ખુલ્લી હથેળીનો વિકલ્પ આપ્યો હતો.
પાર્ટીના નેતા આરકે રાજરત્નમના વિચાર અને શંકરાચાર્યના આશીર્વાદને ધ્યાનમાં રાખીને ઈન્દિરા ગાંધીએ પંજાને ચૂંટણી ચિહ્ન તરીકે બનાવવાનો નિર્ણય લીધો. આ નવા ચૂંટણી ચિહ્નથી કોંગ્રેસને ચૂંટણીમાં મોટી જીત મળી. તે સમયે આ પ્રતીક પાર્ટી માટે શુભ માનવામાં આવતું હતું, તે સમયથી અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો આ પ્રતીક સાથે ચૂંટણી લડે છે.
1984માં નેતા કાંશીરામે બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટીની રચના કરી હતી અને હાથીને રાજકીય પક્ષનું પ્રતીક બનાવ્યું. જ્યારે મુલાયમ સિંહ યાદવે 1992માં સમાજવાદી પાર્ટી બનાવી અને તેમનું ચૂંટણી ચિહ્ન સાઈકલ છે.
દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી સમયે ભાજપ અખિલ ભારતીય જનસંઘ હતી. તે સમયે જનસંઘનું ચૂંટણી ચિહ્ન સળગતો દીવો હતુ. તે ચૂંટણીમાં અન્ય એક પક્ષ કિસાન મઝદૂર પ્રજા સમાજવાદી પક્ષ હતો, જેનું ચૂંટણી પ્રતીક ઝુપડી હતુ.
આ પછી જનસંઘ અને ચૌધરી ચરણ સિંહની આગેવાની હેઠળના ભારતીય ક્રાંતિ દળ ભળી ગઈ. આ પછી જનતા પાર્ટી નામનો નવો પક્ષ અસ્તિત્વમાં આવ્યો અને આ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ખભા પર હળ લઈને ચાલતો ખેડૂત હતો.
જો કે, આ સંસ્થા વધુ સમય સુધી ચાલી શકી નહીં. 1980માં જનતા પાર્ટીના વિઘટન પછી અગાઉના જનસંઘના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીની રચના કરી, જેને ચૂંટણી પ્રતીક કમળનું ફૂલ મળ્યું.
જ્યારે ચૌધરી ચરણ સિંહના નેતૃત્વમાં લોકદળને ખેતર ખેડતા ખેડૂતનું ચૂંટણી ચિહ્ન મળ્યું હતું. આ રીતે આ મોટા પક્ષોને તેમના ચૂંટણી ચિહ્નો મળી ગયા.












Click it and Unblock the Notifications
