લાલન કૉલેજથી લાલ કિલ્લો : તો મોદી હશે પ્રથમ ‘આઝાદ વડાપ્રધાન’
અમદાવાદ (કન્હૈયા કોષ્ટી) : ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને રેકૉર્ડ એક-બીજાના પૂરક બની ચુક્યાં છે. સૌથી લાંબા શાસનનો રેકૉર્ડ હોય કે પછી જગજાણીતી જગન્નાથ રથયાત્રામાં પહિંદ વિધિ કરવાનો રેકૉર્ડ. દરેક બાબતમાં રેકૉર્ડ અને મોદી એક-બીજાનો પર્યાય બની ચુક્યાં છે. હવે જ્યારે મોદીને ભાવી વડાપ્રધાન તરીકે જોવામાં આવે છે, તો વધુ એક રેકૉર્ડ તેમના દિલ્હી પહોંચવાનો ઇંતેજાર કરી રહ્યો છે.
નરેન્દ્ર મોદી ભારતીય જનતા પક્ષની ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ બનાવાઈ ચુક્યાં છે અને પક્ષની અંદર તેમનો આગળનો પડાવ લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો છે. જોકે ભાજપે હજી તેમને પીએમ ઉમેદવાર તરીકે જાહેર નથી કર્યાં, પણ ગણગણાટ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં થયેલા ભારે વિજય બાદથી જ શરૂ થઈ ગયો હતો.
હવે આપના મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે લાલન કૉલેજ અને લાલ કિલ્લો તેમજ આઝાદ વડાપ્રધાન જેવા શબ્દો પાછળ રહસ્ય શો છે? હકીકતમાં આ તમામ શબ્દો માત્ર શબ્દો નથી, પણ એક મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરફ નરેન્દ્ર મોદીની યાત્રાના પડાવો છે.
હકીકતમાં સ્વાતંત્ર્ય દિવસ આવી રહ્યો છે અને ગુજરાતમાં ઑક્ટોબર-2001માં મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી સતત સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે રાજ્ય કક્ષાનો સમારંભ આર્થિક અને રાજકીય પાટનગર એટલે કે અમદાવાદ-ગાંધીનગરથી બહાર જિલ્લા મથકોએ યોજતાં રહ્યાં છે. 2003થી શરૂ થયેલ આ સિલસોલ સતત ચાલુ છે અને આ જ કડીમાં આગામી 15મી ઑગસ્ટ, 2013ના રોજ રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારંભ કચ્છમાં યોજાવાનો છે.
કચ્છ જિલ્લા મથક ભુજ ખાતે આ સ્વાતંત્ર્ય દિવસ સમારંભ યોજાશે કે જ્યાં લાલન કૉલેજ સંકુલમાં નરેન્દ્ર મોદી ત્રિરંગો ફરકાવશે. એમ તો આ એક સામાન્ય સ્વાતંત્ર્ય દિવસ સમારંભની જેમ જ યોજાશે, પણ જ્યારે મોદીને ભાવી વડાપ્રધાન તરીકે રજૂ કરવાની શક્યાતો છે, ત્યારે લોકોના મનમાં 15મી ઑગસ્ટ, 2014 અંગે અટકળો ઊભી થવી સ્વાભાવિક છે. આવતા વર્ષે જ્યારે સ્વાતંત્ર્ય દિવસ આવશે, ત્યારે લોકસભા ચૂંટણી 2014 સમ્પન્ન થઈ ચુકી હશે અને જો ધારણા મુજબ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની જાય, તો સ્પષ્ટ છે કે મોદી 15મી ઑગસ્ટ, 2014ના રોજ લાલ કિલ્લા ઉપર ત્રિરંગો ફરકાવશે.
હવે વાત કરીએ પેલા રેકૉર્ડની. જો નરેન્દ્ર મોદી મે 2014માં થનાર લોકસભા ચૂંટણી બાદ દેશના વડાપ્રધાન બને, તો તેમના નામે એક અનોખો રેકૉર્ડ બનશે. નરેન્દ્ર મોદી દેશના એવા પ્રથમ વડાપ્રધાન હશે કે જેમનો જન્મ આઝાદ ભારતમાં થયો છે. દેશમાં પંડિત જવાહરલાલ નહેરૂથી લઈ ડૉ. મનમોહન સિંહ સુધી જેટલાં પણ વડાપ્રધાન બન્યાં છે, તે સૌના જન્મ આઝાદી પહેલાં એટલે કે 15મી ઑગસ્ટ, 1947 પહેલા થયો છે, જ્યારે નરેન્દ્ર મોદી જો વડાપ્રધાન બને, તો તેઓ દેશના એવા પ્રથમ વડાપ્રધાન બનશે કે જેમનો જન્મ 15મી ઑગસ્ટ, 1947 બાદ એટલે કે આઝાદ ભારતમાં થયો છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીનો જન્મ 17મી સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વડનગર ખાતે થયો હતો. આવતા મહીને નરેન્દ્ર મોદી 63મો જન્મ દિવસ ઉજવશે.
આવો તસવીરો સાથે જાણીએ ભારતના વડાપ્રધાનોની જન્મ તિથિ :
જવાહરલાલ નહેરૂ
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂનો જન્મ 14મી નવેમ્બર, 1889ના રોજ થયો હતો. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યાં, ત્યારે તેમની ઉંમર 58 વર્ષ હતી.
ગુલઝારીલાલ નંદા
ગુલઝારીલાલ નંદા દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતાં. તેઓ બે વાર ભારતના કાર્યવાહક વડાપ્રધાન બન્યા હતાં. તેમનો જન્મ 4થી જુલાઈ, 1898ના રોજ થયો હતો.
લાલ બહાદુર શાસ્ત્રી
જય જવાન-જય કિસાનનો નારો ગજવનાર લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2જી ઑક્ટોબર, 1904ના રોજ થયો હતો.
ઇંદિરા ગાંધી
ઇંદિરા ગાંધીના નામે દેશમાં સૌથી લાંબો વખત શાસન કરવાનો રેકૉર્ડ છે. તેઓ ત્રણ વાર વડાપ્રધાન બન્યાં. તેમનો જન્મ 19મી નવેમ્બર, 1917ના રોજ થયો હતો.
મોરારજી દેસાઈ
મોરારજી દેસાઈ દેશના બીજા ગુજરાતી વડાપ્રધાન હતાં. તેમનો જન્મ 29મી ફેબ્રુઆરી, 1896ના રોજ થયો હતો.
ચરણ સિંહ
ચૌધરી ચરણ સિંહનો જન્મ 23મી ડિસેમ્બર, 1902ના રોજ થયો હતો.
રાજીવ ગાંધી
ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી 1984માં વડાપ્રધાન બન્યાં. તેઓ સૌથી ઓછી વયે વડાપ્રધાન બનવાનો રેકૉર્ડ ધરાવે છે. તેમનો જન્મ પણ આઝાદી પહેલા એટલે કે 20મી ઑગસ્ટ, 1944ના રોજ થયો હતો.
વિશ્વનાથ પ્રતાપ સિંહ
રાજીવ ગાંધી સાથે છેડો ફાડી વિશ્વનાથ પ્રતાપ સિંહ ભારતના વડાપ્રધાન બન્યા હતાં. તેઓનો જન્મ 25મી જૂન, 1931ના રોજ થયો હતો.
ચંદ્રશેખર
ચંદ્રશેખર ચાર માસ માટે જ વડાપ્રધાન બની શક્યાં. તેઓનો જન્મ 1લી જુલાઈ, 1927ના રોજ થયો હતો.
પી. વી. નરસિંહ રાવ
પી. વી. નરસિંહ રાવનો જન્મ 28મી જૂન, 1921ના રોજ થયો હતો.
અટલ બિહારી બાજપાઈ
અટલ બિહારી બાજપાઈ ત્રણ વખત ભારતા વડાપ્રધાન પદે બિરાજ્યાં. તેમનો જન્મ 25મી ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો.
એચ. ડી. દેવેગૌડા
એચ. ડી. દેવેગૌડાનો જન્મ 18મી મે, 1933ના રોજ થયો હતો.
ઇંદ્રકુમાર ગુજરાલ
ઇંદ્રકુમાર ગુજરાલનો જન્મ 4થી ડિસેમ્બર, 1919ના રોજ થયો હતો.
મનમોહન સિંહ
દેશના હાલના વડાપ્રધાન મનમોહન સિંહનો પણ આઝાદી પહેલા એટલે કે 26મી સપ્ટેમ્બર, 1932ના રોજ થયો હતો.
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી ભારતના ભાવી વડાપ્રધાન તરીકે જોવાય છે. તેઓ જો ભારતના વડાપ્રધાન બને, તો તેઓ એવા પહેલા વડાપ્રધાન હશે કે જેમનો જન્મ આઝાદી અગાઉ થયો હોય. મોદીનો જન્મ 17મી સપ્ટેમ્બર, 1950ના રોજ થયો હતો.