રાજકારણ... જેમાં ના તો કોઇ લાંબો સમય સુધી મિત્ર રહે છે અને ના તો લાંબો સમય સુધી શત્રુ. જેનું તાજું ઉદાહરણ આપણી સમક્ષ છે, રામ વિલાસ પાસવાન. જેઓ 12 વર્ષ પહેલા એનડીએમાંથી જતાં રહ્યાં હતા તે આજે ફરી પાછા આ એનડીએ સાથે જોડાઇ ગયા છે. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાના બીજા જ વર્ષે ગુજરાતમાં રમખાણો થયાં, જેને લઇને રામ વિલાસ પાસવાને એનડીએથી અલગ થવાનું નક્કી કર્યું, પરંતુ આજે 12 વર્ષ બાદ ફરીથી તેઓ એનડીએમાં આવ્યા. જે મોદીના કારણે છોડીને ગયા હતા એ જ મોદીના કારણે પાસવાને એનડીએ સાથે ફરી ગઠબંધન કર્યું છે. આ કસોટીમાં પાસવાન પાસ થઇ ગયા છે. મોદી પોતાના વધતા રાજકીય કદ અને જે રીતે રમખાણો બાદ ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધાર્યું છે, તેના જોરે તેઓ પાસવાનને લોકસભા ચૂંટણી પહેલાં એનડીએ સાથે જોડવામાં સફળ રહ્યાં છે.
પરંતુ આ તો શરૂઆત માત્ર છે, મોદીને હજુ આ દિશામાં અનેક કસોટીઓ આપવાની છે. નરેન્દ્ર મોદીનો ટાર્ગેટ 272 બેઠકો મેળવવાનો છે, પરંતુ જે સર્વે હાથ ધરવામાં આવ્યા છે, તેમાં એનડીએને 217ની આસપાસ બેઠકો મળી શકે તેમ છે એવું દર્શાવવામાં આવી રહ્યું છે. જો મોદીએ પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવું હોય અને સત્તારૂઢ થવું હોય તો જૂના મિત્રોને એકઠાં કરવાનું કામ કરવું પડશે અને એ દિશામાં તેમની પહેલી પહેલા રામ વિલાસ પાસવાન હતા. આ યાદીમાં હવે તેમણે ચંદ્ર શેખર રાવ, ચંદ્રબાબુ નાયડૂ સહિતના નેતાઓને લાવવાના છે.
અટલ બિહારી વાજપાયીના નેતૃત્વમાં જે એનડીએ હતું, તે એનડીએ કદાચ મોદીના નેતૃત્વના ન બની શકે પરંતુ મોદી એ સમયના કેટલાક જૂના સાથીઓને એકઠાં કરીને તથા નવા પ્રાદેશિક પક્ષોને આ યાદીમાં જોડીને એક મજબૂત ગઠબંધનની રચના જરૂર કરી શકે છે, અને ચોક્કસપણે જે રીતે દેશમાં મોદીનો જાદૂ ચાલી રહ્યો છે, તેને જોતા પ્રાદેશિક પક્ષો પણ મોદીના નેતૃત્વવાળા એનડીએમાં જોડાવા આતુર પણ હશે. આ મજલ ધારીએ એટલી સરળ નથી તો મોદી માટે એટલી અઘરી પણ નથી.
કોણ કોણ છોડીને ગયુ હતું એનડીએ
2002ના રમખાણોમાં મોદીનું નામ ઉછળ્યા બાદ કે પછી એનડીએની વિચારધારા સાથે મનમેળ નહીં બેસતા અનેક મોટા કદના નેતાઓ અને તેમની પાર્ટીઓએ એનડીએ સાથે છેડો ફાડ્યો હતો. જેમાં ફારૂક અબ્દૂલા અને તેમની પાર્ટી, રામ વિલાસ પાસવાન(એલજેપી), જય લલિતા, મમતા બેનરજી, નવિન પટનાયક, ચંદ્રશેખર રાવ, ચંદ્રબાબુ નાયડુ અને છેલ્લે મોદીનું રાજકીય કદ વધતા નીતિશ કુમારની જેડીયુએ છેડો ફાડી નાંખ્યો હતો.
મોદી માટે એક કસોટી સમાન
પાસવાન ફરી એનડીએ સાથે આવ્યા છે, જ્યારે આગામી લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમાર, જય લલિતા, મમતા બેનરજી, ફારૂક અબ્દૂલા, નવિન પટનાયક જેવા મોટા કદના નેતાઓએ એનડીએ સાથે હાથ મિલાવવાની તૈયારી દાખવી નથી, જે મોદી માટે એક કસોટી સમાન છે, કાં તો મોદીએ આ નેતાઓને ચૂંટણી પહેલા મનાવી લેવા પડશે અને જો ના માને તો મોદીએ તેમની જગ્યા ભરે તેવા અન્ય મોટા કદના નેતાઓને એનડીએમાં જોડવા પડશે.
એનડીએને ફરી બેઠું કરવાની મોદીની કવાયત
રામ વિલાસ પાસવાનનું એનડીએમાં ફરીથી આવવું એ મોદીની એનડીએને બેઠું કરવાની રણનીતિની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. જે એનડીએ વિખૂટુ પડી ગયું છે, તેને એક તાંતણે બાંધવાનું કામ મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જો કે તેમાં તેમને અત્યારથી જ ત્રણ નિષ્ફળતા મળી ચૂકી છે. નવિન પટનાયક, મમતા બેનરજી અને જયલલિતા, એનડીએમાં જોડાશે તેવા અણસાર દૂર દૂર સુધી દેખાઇ રહ્યાં નથી, તો નીતિશ કુમાર પણ કોઇ કાળે ભાજપ શાસિત એનડીએ સાથે ગઠબંધન કરશે નહીં, ત્યારે મોદીએ અન્ય પક્ષો પર મીટ માંડવી પડશે.
મોદીએ નવા પક્ષો શોધવા પડશે
જ્યારે જૂના સાથી સહકારની ભાવના વ્યક્ત ના કરે ત્યારે નવા સાથીનો સહારો લેવો એ જ યોગ્ય માર્ગ છે અને એ જ દિશામાં નરેન્દ્ર મોદી કાર્ય કરી રહ્યાં હોવાનું ફલિત પણ થઇ રહ્યું છે. મોદી દ્વારા એનડીએ માટે નવા પક્ષોની શોધ પણ શરૂ કરવામાં આવી રહી છે, અને નવા પક્ષો અને નવા રાજનેતાઓ એનડીએમાં જોડાવા માટે આતુર પણ છે. જેમા બિહારની આરએલજેપી નામની પાર્ટી છે, તો અન્ય એક પાર્ટી છે રામદાસ આઠવલેની આરપીઆઇ નામની પાર્ટી, આ બન્ને પાર્ટી પણ ભાજપ સાથે જોડાણ કરવા તૈયાર હોવાનું જાણવા મળે છે. અહીં કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે મોદી એક વ્યક્તિ(રામ વિલાસ પાસવાન)ને પરત લાવવામાં સફળ થયાં છે અને હવે તેમણે અન્યોને પોતાની સાથે જોડવાના છે.