ઉર્દૂ કવિઓને પણ પ્રિય હતા કૃષ્ણ, પુરાવો છે આ વાત....
કૃષ્ણપ્રેમ અને કૃષ્ણભક્તિનો ઉલ્લેખ જૂની ઉર્દૂ કવિતાઓમાં પણ મળી આવે છે.
જન્માષ્ટમીનો તહેવાર આપણે ત્યાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. હિંદુ ધર્મમાં ભાગ્યે જ કોઇ એવું હશે જેણે શ્રી કૃષ્ણની લીલા અંગે સાંભળ્યું ન હોય. શાસ્ત્રો ઉપરાંત આપણા જૂના સાહિત્યમાં પણ કૃષ્ણની લીલા, સુંદરતા, કૃષ્ણપ્રેમ અને કૃષ્ણભક્તિ પર અનેક કાવ્યો અને નિબંધો મળી આવે છે. માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પરંતુ અન્ય ધર્મમાં પણ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. જી હા, જરાક જ જૂના ઇતિહાસ પર નજર કરીએ તો ઉર્દૂ કવિતાઓમાં ભગવાન શ્રી કૃષ્ણના નામનો ઉલ્લેખ જોવા મળશે.
ઉર્દૂ કવિતાઓ
અહીં વાત થઇ રહી છે, વર્ષ 1947ના ભાગલાં પહેલાના અવિભાજીત ભારતની. એ સમયના ઉર્દૂ સાહિત્ય પર નજર કરતાં ખ્યાલ આવે છે કે, ઉર્દૂ કવિઓના મનમાં પણ શ્રી કૃષ્ણ માટેનું ખાસ સ્થાન હતું. ઉર્દૂ કવિતાઓમાં શ્રી કૃષ્ણને પ્રેમ અને સુંદરતાના પ્રતિક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ઉર્દૂ ભાષાના કેટલાક દિગ્ગજ કવિઓ ઇનશા અલ્લાહ ખાન 'ઇનશા', ઇકબાલ, પરવીન શકીરની કવિતાઓમાં શ્રી કૃષ્ણના નામનો ઉલ્લેખ જોવા મળે છે.
હફિઝ જાલંધરી
હફિઝ જાલંધરી 20મી સદીના સૌથી કટ્ટર મુસલમાન ઉર્દૂ કવિ કહેવાયા છે. તેમને કુરાન મોઢે હતી. તેમણે પાકિસ્તાન તથા પીઓકે(Pakistan occupied Kashmir)નું રાષ્ટ્રગાન પણ લખ્યું છે. ભારતની આઝાદી સમયે મુસ્લિમ લિગના સક્રિય સભ્ય તથા ભારત-પાકિસ્તાનના ભાગલાની માંગમાં સક્રિયપણે ભાગ લેનાર એવા હફિઝ જાલંધરીની કવિતામાં પણ શ્રી કૃષ્ણનો ઉલ્લેખ જોવા મળ્યો છે.
ગીતાનું હતું જ્ઞાન
મુસ્લિમ લિગના સભ્ય તરીકે આઝાદીની ચળવળ દરમિયાન જ તેમણે શ્રી કૃષ્ણ પર એક કવિતા લખી હતી, 'ક્રિષ્ન કન્હૈયા'. વળી આ કોઇ સાદી-સીધી કવિતા નહોતી, તેમણે પોતાની કવિતામાં કૃષ્ણને નૂર એટલે કે પ્રકાશ કહ્યા હતા. મુસ્લિમ ધર્મમાં મોહમ્મદને પ્રકાશ કહેવામાં આવે છે. સાથે જ તેમણે કૃષ્ણને દેશના તારણહાર ગણાવ્યા હતા અને તેમને અરજી કરી હતી તેઓ દુર્યોધન(અંગ્રેજ સરકાર)ને માત આપવામાં પોતાના અર્જુન(ભારત દેશ)ની મદદ કરે. તેમની આ કવિતા પરથી સ્પષ્ટ છે કે, તેમને કુરાન ઉપરાંત ગીતાનું પણ ખાસું જ્ઞાન હતું.
ધર્મનિરપેક્ષતા
એક રૂઢિવાદી મુસ્લિમ હોવા છતાં પણ હફિઝ જાલંધરી શ્રી કૃષ્ણનો આદર કરતા હતા, આ કવિતા દ્વારા તેઓ લોકોને કહેવા માંગતા હતા કે, આઝાદીની ચળવળમાં લોકોએ કૃષ્ણએ શીખવેલ પાઠ મનમાં ઉતારી અમલમાં મુકવા જોઇએ. હફિઝ જાલંધરીની આ કવિતા એ સમયની ધર્મનિરપેક્ષતાનું ઉદાહરણ છે. નવી વિચારધારા કેળવવાની સાથે આપણા પૂર્વજો તરફથી મળેલ શિક્ષા અને સારા ગુણોને લઇ આગળ વધવાની ભાવના આઝાદીની ચળવળ દરમિયાન પણ જળવાઇ રહી હતી, જે ગર્વની વાત છે.
Source: Firstpost પરથી મળેલ માહિતીને આધારે