વાઇબ્રન્ટ સમિટ 2015નું ઉદ્ઘાટન કોણ કરશે? વડાપ્રધાન કે મુખ્યમંત્રી?
અમદાવાદ, 11 નવેમ્બર : શું આપ જાણો છો જાન્યુઆરી-2015માં નરેન્દ્ર મોદી ક્યાં હશે? આપ વિચારતા હશો કે અત્યારથી શું કહી શકાય? જે લોકો નરેન્દ્ર મોદીના ચુસ્ત ટેકેદાર છે, તેઓ કદાચ એક જ વાક્યમાં ઉત્તર આપશે કે નરેન્દ્ર મોદી જાન્યુઆરી-2015માં દિલ્હીમાં વડાપ્રધાનની ખુરશીએ પહોંચી ચુક્યાં હશે, તો તેમના વિરોધીઓનો જવાબ હશે કે મોદી ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે, તો કટ્ટર રાજકીય વિરોધીઓ અહીં સુધી પણ કહી શકે કે મોદીનો સિતારો અસ્ત થઈ ચુક્યો હશે અને કદાચ ભાજપમાં તેઓના ભુંડા હાલ થઈ ગયાં હશે.
આ તો નરેન્દ્ર મોદીના ટેકેદારો અને વિરોધીઓની વાત થઈ, પરંતુ અહીં અમે આપને એક એવી માહિતી આપવા જઈ રહ્યાં છીએ કે જેને જાણીને આપ આશ્ચર્યમાં મુકાઈ જશો. આ માહિતી જાણ્યા બાદ આપ વિચારતાં થઈ જશો કે નરેન્દ્ર મોદી કેટલાં મોટા દૂરદૃષ્ટા છે. તેઓ એક સાથે કેટલા મોરચે લડવાની અને વિચારવાની ક્ષમતા ધરાવે છે.
સૌ જાણે છે કે નરેન્દ્ર મોદી હવે માત્ર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જ ઓળખ નથી ધરાવતા, પણ તેઓ આગામી લોકસભા ચૂંટણી 2014 માટે ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર પણ છે. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન જેવા હોદ્દા ઉપર પહોંચવા માટે જમીન-આસમાન એક પણ કરી રહ્યાં છે. રેલીઓ, સભાઓ, આરોપો-પ્રત્યારોપોની વણઝારથી ઘેરાયેલા નરેન્દ્ર મોદી કદાચ એ નથી ભુલ્યાં કે તેઓ હાલ ગુજરાતના મુખ્યમંત્રી છે અને તે વર્તમાન અને સૌથી સત્ય બાબત છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની પોતાની ફરજોમાં નરેન્દ્ર મોદી કદાચ ક્યાંય ચૂક કરવા નથી માંગતાં. એટલે જ તો નરેન્દ્ર મોદી અને તેમની સરકાર એક એવા આયોજનની તૈયારીમાં ગુંથાઈ ગઈ છે કે જેના નેતૃત્વકર્તા તરીકે નરેન્દ્ર મોદી જ રહેવાની કોઈ પાક્કી ખાતરી આપી શકાય તેમ નથી. નરેન્દ્ર મોદી પોતે નથી જાણતાં કે અત્યાર સુધી ગુજરાતના આ સૌથી મોટા આયોજનનું છ વાર તેઓ એક મુખ્યમંત્રી તરીકે સફળ નેતૃત્વ કરી ચુક્યાં છે અને સાતમી વખત તેઓ પોતે મુખ્યમંત્રી તરીકે નેતૃત્વ કરશે કે કેમ? આમ છતાં નરેન્દ્ર મોદી એક દૂરદૃષ્ટા નેતા તરીકે ફરી એક વાર ઉપસી રહ્યાં છે અને એક એવા આયોજનની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવાઈ છે કે જેની ઉપર સમગ્ર ભારત જ નહીં, પણ વિશ્વની નજર રહેતી આવી છે.
ચાલો આપને તસવીરો સાથે જણાવી જ દઇએ આ રહસ્ય વિશે :
તૈયારીઓ શરૂ
હવે બહુ સસ્પેંસ ન રાખતાં બતાવી જ દઇએ કે એ કયું આયોજન છે. હા જી, એ આયોજન છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015. તેની તારીખો નક્કી થઈ ગઈ છે અને તૈયારીઓ માટેના કાર્યક્રમોનું આયોજન આજથી નહીં, પણ છેલ્લા 9 મહીનાથી શરૂ થઈ ગયાં છે. ગત ફેબ્રુઆરી 2013થી વિવિધ આયોજનો થઈ રહ્યાં છે અને હજી તો જાન્યુઆરી 2015ને ડોઢ વર્ષ જેટલુ બાકી છે, છતાં આયોજનોની વણઝાર ચાલુ જ છે.
અનિશ્ચિત ભાવિ
હવે વિચારવા જેવી બાબત એ છે કે એક બાજુ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014 માટેની તૈયારીઓ કરી રહ્યાં છે અને તેઓ કે તેમનો પક્ષ આ ચૂંટણીમાં જીતશે કે કેમ? જીતશે તો સમ્પૂર્ણ બહુમતી મળશે કે કેમ? સમ્પૂર્ણ બહુમતી ન મળે અને ટેકો લેવો પડે અને ટેકેદારો મોદીના નામ ઉપર સંમત ન થાય તો? અને માની લઇએ કે બધુ સમસુથરુ પાર પડે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની જાય તો? અને એમ પણ બની શકે કે ભાજપ કે એનડીએની સરકાર જ ન બને અને કોંગ્રેસ પાછી સત્તામાં આવે, તો નરેન્દ્ર મોદીનું રાજકીય ભવિષ્ય શું હશે?
સાતમી સમિટ
સવાલો તો ઘણા છે. જો અને તોની આ પરિસ્થિતિથી સામાન્ય પ્રજા કરતાં નરેન્દ્ર મોદી વધુ વિચારતા હશે અને આમ છતાં નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015ની તૈયારીઓમાં લાગી ગયાં છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સફળ થાય છે કે નિષ્ફળ રહે છે, એ તો આર્થિક અને રાજકીય જગતના લોકો અલગ-અલગ રીતે મુલાવતા હોય છે. અત્યાર સુધી ગુજરાતમાં છ વાઇબ્રન્ટ સમિટ થઈ ચુકી છે. 2003થી શરૂ થયેલો વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો સિલસિલો 7મી સમિટે પહોંચી રહ્યો છે, પરંતુ નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસ ઉપર આશ્ચર્ય ત્યારે થાય છે કે જ્યારે તેઓ પોતાના રાજકીય ભાવિની ચિંતા કર્યા વગર આવા આયોજનોની તૈયારીઓ શરૂ કરી દે છે.
2013ની જેમ જ તૈયારીઓ
અગાઉ નરેન્દ્ર મોદીએ ગત વાઇબ્રન્ટ સમિટ 2013માં પણ આવા આજ આત્મવિશ્વાસનો પરિચય કરાવ્યો હતો કે જ્યારે તેમને એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012નો મહત્વનો પડાવ ઓળંગવાનો બાકી હતો અને વાઇબ્રન્ટ સમિટ 2013ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એટલુ જ નહીં, નરેન્દ્ર મોદીએ જ્યારે વિધાનસભા ચૂંટણી 2012ના મહીનાઓ અગાઉ ગૂગલ હૅંગઆઉટ કાર્યક્રમમાં જાપાનના એક પ્રવાસી ભારતીયને જાન્યુઆરી-2013માં ગુજરાત આવવાનું આમંત્રણ આપી દીધું, ત્યારે સૌને આશ્ચર્ય થયો હતો કે હજી તો મોદી ચૂંટણી બાદ મુખ્યમંત્રી રહેશે કે કેમ એ જ નક્કી નથી. આમ છતાં તેઓ આવું આમંત્રણ આપી રહ્યાં છે.
પડકારો વચ્ચે આયોજન
એક બાજુ વડાપ્રધાન પદની દાવેદારી મજબૂત કરવાનો અને બીજી બાજુ ગુજરાતની ચુંટણીઓનો પડકાર. આટલા હોબાળા વચ્ચે પણ મોદી અને તેમનું વહિવટી તંત્ર વાઇબ્રન્ટ સમિટ 2013ની તૈયારીઓમાં લાગેલુ હતું. આ તમામ પડકારો વચ્ચે પણ મોદીને આત્મવિશ્વાસ હતો કે 13મી અને 17મી ડિસેમ્બરે થનાર મતદાનમાં ગુજરાતની પ્રજા તેમના જ નામે મહોર લગાવશે અને 20મી ડિસેમ્બરે મત ગણતરી બાદ વિજય તેમનો જ થશે અને એવું જ થયું પણ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ સમિટ 2013 સફળતાપૂર્વક યોજાઈ પણ ખરી.
તો વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન
નરેન્દ્ર મોદી પુનઃ એક વાર આવા જ આત્મવિશ્વાસનો પરિચય કરાવી રહ્યાં છે. તેઓ અને તેમની સરકાર વાઇબ્રંટ ગુજરાત ગ્લોબસ સમિટ 2015 માટેની તૈયારીઓમાં લાગી ગઈ છે. 11થી 13 જાન્યુઆરી, 2015 દરમિયાન મહાત્મા મંદિર ખાતે આ સમિટ યોજાવાની છે અને તેને લગતા ઇવેંટ્સની વણઝાર પણ શરૂ થઈ ગઈ છે, જ્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014ના રણમાં ઉતર્યાં છે. જો તેઓ અહીં જીતશે, તો ચોક્કસ વડાપ્રધાન તરીકે આ સમિટનું ઉદ્ઘાટન કરશે, પરંતુ જો તેઓ હારી જાય, તો ?
સલામ આત્મવિશ્વાસને
જો તેઓ હારી જાય, તો સૌ પ્રથમ તો તેમના રાજકીય ભાવિ ઉપર પ્રશ્નચિહ્ન ઊભુ થઈ જશે અને તેવા રાજકીય ભૂકમ્પ વચ્ચે કદાચ તેઓ મુખ્યમંત્રી તરીકે પણ યથાવત રહેશે કે નહીં? તે પણ કોઈ અત્યારથી કહી શકે એમ નથી. આવી અનિશ્ચિતતાઓ ભરેલી પરિસ્થિતિમાં પણ નરેન્દ્ર મોદી એક એવા આત્મવિશ્વાસ સાથે આવું આયોજન પાર પાડવા જઈ રહ્યાં છે, તો તેમના આત્મવિશ્વાસ અને દૂરદૃષ્ટાપણાને સલામ જ કરવી રહી. કદાચ મોદીને 2012ની જેમ 2014ની ચૂંટણીઓ અંગે પણ ચોક્કસ આત્મવિશ્વાસ છે કે તેઓનો જ વિજય થશે.