વાસ્તુ ટિપ્સ: નવા ઘરમાં કરો વાસ્તુ પુરુષની પૂજા, મેળવો સમૃદ્ધિ
ઘર બનાવતા પહેલા વાસ્તુ પુરૂષની કરો પૂજા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ અંગે વધુ વાંચો અહીં..
મકાન બનાવડાવવું અને તેને સુખ-સુવિધાથી પૂર્ણ કરવું તે દરેકનું સ્વપ્ન હોય છે. જ્યારે વ્યક્તિનું આ સપનું સાચુ થવા લાગે છે ત્યારે વ્યક્તિની ઇચ્છા રહે છે કે, તેનું બાકીનું જીવન સુખ અને શાંતિથી વીતી જાય. પોતાની આ ઈચ્છાને પૂર્ણ કરવા લોકો વિભિન્ન જ્યોતિષો, વાસ્તુ નિષ્ણાતોની સલાહ લેતા હોય છે. આ સલાહમાં ઘરની રચના કેવી કરવી? કેવા પ્રકારના રંગોની પસંદગી કરવી? જેવી અનેક વસ્તુની સલાહ મેળ્યા બાદ જ ઘર બનાવવાની શરૂઆત કરવામાં આવે છે.
ગ્રહોની દશા, રાશિઓની ગણના
જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દશા, રાશિઓની ગણનાને આધારે ભવિષ્ય સુખદ અને સુરક્ષિત કરવાના ઉપાય દર્શાવે છે. જ્યારે વાસ્તુશાસ્ત્ર જે માપદંડોને આધારે મકાનના નિર્માણની યોજના તૈયાર કરે છે, તે મોટેભાગે વાસ્તુ પુરુષના અવયવોને અનુરૂપ કલ્પિત કરાય છે.
શું છે વાસ્તુ પુરુષ?
વાસ્તુ પુરુષ દરેક મકાનનો સ્વયંભૂ સંરક્ષક હોય છે. તેને ભવન કે મકાનનો પ્રમુખ દેવ ગણવામાં આવે છે. વેદોમાં જણાવાયુ છે કે, સ્વયં બ્રહ્માએ આ વાસ્તુ પુરુષની રચના કરી છે અને આશિર્વાદ આપ્યા કે સંસારમાં દરેક ગ્રહ નિર્માણના અવસરે તેની પૂજા કરવી અનિવાર્ય રહેશે. આ કારણે જ દરેક મકાનના આધારમાં વાસ્તુ પુરુષનો વાસ હોય છે. મકાનની સુરક્ષાનો ભાર આ વાસ્તુ પુરુષ પર જ હોય છે.
તથાસ્તુ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાસ્તુ પુરુષના મુખેથી દરેક સમયે 'તથાસ્તુ' નીકળે છે. આ કારણે જ વાસ્તુ પુરુષ પોતાના ઘરમાં રહેનારા દરેક વ્યક્તિની ઈચ્છા પૂરીં કરવા ઇચ્છે છે. વાસ્તુ પુરુષના આશિર્વાદ દરેક સમયે તેના મોઢામાંથી નીકળે છે. જેથી હંમેશા સારુ સારુ બોલવાથી વાસ્તુ પુરુષના આશિર્વાદથી બધુ જ શુભ થાય છે. આ વાસ્તુ પુરુષ ઘરમાં રહેતા દરેક સભ્યોની ખુશઓને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વાસ્તુ પુરુષની સ્થાપના
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાવવાની શરૂઆત કરતી વખતે, દ્વાર બનાવડાવતી વખતે અને મકાન આખુ બની ગયા પછી ગ્રહ પ્રવેશ સમયે વાસ્તુ પૂજન જરૂર કરાવવું. ઉપરાંત દરેક શુભ પ્રસંગે અથવા વિવાદિત મકાનના પુનઃનિર્માણ પછી તેમાં પ્રવેશ કરતા પહેલા વાસ્તુ શાંતિ પણ કરાવવી જોઈએ. વાસ્તુ શાંતિ વખતે વાસ્તુ પુરુષની પ્રતિમાને મકાનની પૂર્વ દિશામાં યોગ્ય સ્થાન જોઈ વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ અને તેને ખાડામાં દબાવી દેવો જોઈએ. ત્યાંરથી ઘરના લોકોની સુરક્ષાની જવાબદારી વાસ્તુ પુરુષની થઈ જાય છે. વાસ્તુ પુરુષને ભોગ લગાવી સંતુષ્ટ રાખવો જોઈએ. રોજ ભોગ લગાવવો શક્ય ન હોય તો પૂનમ અને અમાસના દિવસે વાસ્તુ પુરુષને નિવેધ ધરાવો.
નિવેધની વિધિ
ઘરમાં બનેલા દરેક વ્યંજનને એક થાળીમાં કાઢો અને તેના પર ઘી નાખો. આ થાળીમાં એક-બે તુલસીના પાન નાખો અને તેને બીજી થાળીથી ઢાંકી દો. હવે જે સ્થાને વાસ્તુ પુરુષ સ્થાપિત છે ત્યાં જળથી શુદ્ધિ કરી એક બાજોઠ પર થાળી મુકો. હવે જમણા હાથમાં બે વાર પાણી લઈ થાળીની ચારે બાજુ ફેરવી છોડી દો. ત્યારબાદ ફરીથી પાણી લઈ કોઈ પાત્રમાં છોડી દો અને જમણા હાથથી ઢાંકણ ઉઠાવી ભોજનના પાંચ ગ્રાસ વાસ્તુ પુરુષને દેખાડી ચઢાવો. હવે છઠ્ઠો ગ્રાસ વાસ્તુ પુરુષને દેખાડી થાળીમાં જ મુકી દો. ત્યારબાદ આ થાળી રસોડામાં પાછી લઈ લો અને ઘરના પ્રમુખ વ્યક્તિને આ થાળી પ્રસાદમાં આપો. દરેક પૂનમ અને અમાસે આ રીતે નિવેધ ધરાવો. જેનાથી તમારા ઘરની સુખ-શાંતિ માં વધારો થશે અને દરેક દોષોનું શમન થશે.