દુનિયામાં કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે પીએમ મોદીએ સમીક્ષા બેઠક બોલાવી, આવી હશે ભારતની રણનીતિ
પીએમ મોદીએ સમિક્ષા બેઠક બોલાવી છે અને દેશમાં કોરોનાની સ્થિતી અને આયોજન વિશે વિગતે ચર્ચા થશે. હાલ કેટલાક દેશોમાં કેસ વધતા દેશમાં એલર્ટ જારી કરાયુ છે.
નવી દિલ્હી : ચીન અને અમેરિકા સહિતના દેશોમાં વધતા કોરોનાના પ્રકોપને લઈને હવે ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ભુતકાળના ખરાબ અનુભવોને ન દોહરાવતા હવે સરકાર આગોતરુ આયોજન કરવામાં જોડાઈ છે. સામે આવી રહેલા સમાચાર અનુસાર, પીએમ મોદીએ સમીક્ષા બેઠક બોલાવી છે. આ મીટિંગમાં તૈયારીઓ સહિતના મુદ્દાઓ પર વિગતે ચર્ચા થશે.
ભારત સરકાર ચીન અને અમેરિકામાં વધી રહેલા કેસને લઈને પહેલેથી જ સતર્ક થઈ ગઈ છે ત્યારે હવે ભારતમાં સંક્રમણ અટકાવવા ખાસ દિશા નિર્દેશો આપ્યા છે. સરકાર દ્વારા તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહેલા યાત્રીઓનું રેન્ડમ સેમ્પલિંગ તૈયાર કરાયુ છે.
પીએમ મોદી હાલ બેઠક યોજી રહ્યા છે અને આ હાઈલેવલ મીટિંગમાં કોરોના સાથે જોડાયેલા તમામ મુદ્દાઓની સમીક્ષા કરશે. આ પહેલા કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં સામાજિક અંતર જાળવવા સાથે માસ્ક પહેરવાની સલાહ છે. આ સાથે કોરોના પોઝિટિવના સેમ્પલ INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ચીન સહિતના કેટલાક દેશોમાં કોરોના ચરમ પર છે અહીં ઘણા વધુ કેસ આવી રહ્યા છે અને તેને લઈને ભારતમાં પણ ડરનો માહોલ છે. જેને લઈને સરકાર એલર્ટ થઈ ગઈ છે. હાલ સરકાર જીનોમ સિક્વન્સિંગ સહિતના મહત્વના પગલા ભરી રહી છે અને ખતરનાક ગણાતા ઓમિક્રોનના BF7 અને BF12 સંક્રમિત દર્દીઓની ઓળખ કરી રહી છે.