UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું આંદોલન, પોલીસે અટકાયત કરી
કોરોના દરમિયાન માત્ર લાશો જ નહીં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓનાં સપનાં પણ સળગાવી મરાયાં હોવાનું વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે.
દિલ્હીને UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ગઢ પણ માનવામાં આવે છે, દેશભરના રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ UPSC પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી આવતા હોય છે. રાત-દિવસ એક કર્યા પછી પણ મોટાભાગના ઉમેદવારોને હાથ નિરાશા જ લાગે છે અને તેમાં કોવિડ-19 મહામારીએ પણ અડચણ પેદા કરી હતી, ત્યારે ઉમેદવારોએ તેમને પરીક્ષા આપવાના વધુ મોકો મળી શકે તેને લઈ દેખાવો કરવામાં આવી રહ્યો હતો.
બુધવારે સાંજે જૂના રાજીન્દર નગરમાં યુપીએસસીના વધુ પ્રયાસોની માંગણી કરી રહેલા ઉમેદવારોની દિલ્હી પોલીસે અટકાયત કરી. અગાઉ આંદોલન કરી રહેલા ઉમેદવારોએ કહ્યું હતું કે કોવિડ-19 મહામારીને કારણે તેઓની તૈયારીમાં અવરોધ ઉભો થયો હતો જેને કારણે તેઓ અગાઉના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા.
યુપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવાર ગરીમાએ કહ્યું કે, "કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાથી SSC (GD) અને અગ્નીવીરના ઉમેદવારોને વધારાનો પ્રયાસ આપવામાં આવ્યો હતો. જો સરકાર એસએસસી (જીડી) અને અગ્નીવીર ઉમેદવારોને વધારાનો મોકો આપી શકતી હોય તો, અમને પણ મોકો કેમ ના આપી શકે? અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છીએ."
વધુ એક આંદોલનકારી રાશીએ વધારાના બે પ્રયત્નો અને 2 વર્ષની ઉંમર મર્યાદા વધારવાની માંગણી કરી. તેણીએ કહ્યું, "અમે બે વર્ષની ઉંમર મર્યાદા અને બે વધારાના પ્રયત્નોની માંગણી કરી રહ્યા છીએ. શું કોરોનાવાયરસે યુપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને અસર નથી કરી? જો સરકાર MSME ને ઉપાડવા અને લોન માફ કરવાનો પ્રયાસ કરી શકે, તો તેઓ અમને કેમ થોડી રાહત નથી આપી શકતા? કોરોના મહામારી દરમિયાન માત્ર લાશો જ નહીં, અમારાં સપનાઓંને પણ બાળીને રાખ કરી નાખવામાં આવ્યાં."