તલાટી સહિત પંચાયત વિભાગની 16,400 જગ્યાઓ પર ભરતી
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના પંચાયત વિભાગની 16,400 જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના પંચાયત વિભાગની 16,400 જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી છે કે પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આવતા 6 મહિનામાં આ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. વળી, રાજ્ય સરકારે 2018ની પંચાયત વિભાગની તલાટી અને સીનિયર-જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે શરૂ કરેલી ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે. તલાટી અને સીનિયર-જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયાને નવી ભરતી સાથે સંકલિત કરી લેવામાં આવશે.
પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી હતી કે પંચાયત વિભાગની જગ્યાઓ માટે અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા આવરી લેવામાં આવશે. નવી ભરતીમાં 2018માં તલાટી અને સીનિયર-જુનિયર ક્લાર્કની ભરતીની પ્રક્રિયાના ફૉર્મ ભરાયા હતા તે પણ આવરી લેવામાં આવશે અને જૂના ફૉર્મ ભરનારને શું રાહત આપવી એ નિયમો હવે પછી જાહેર કરવામાં આવશે.
DDO સાથેની બેઠકમાં મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યુ હતુ કે પંચાયત હસ્તક વિભાગમાં 15 હજાર જગ્યામાં ભરતી થશે. હાલમાં 16,400 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે જેના કારણે સ્વાભાવિક રીતે તકલીફ પડી રહી છે. આગામી સમયમાં 7 સેવાઓ માટે 15 હજાર જગ્યાઓ ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બ્રિજેશ મેરજા એક બીજી યોજના વિશે જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને એક મહિનામાં અન્નપૂર્ણા યોજનાન શરૂ કરવાની પણ જાહેરાત કરી દીધી છે.
તલાટી પરીક્ષા માટે પગારધોરણ, અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ
ઉલ્લેખનીય છે કે તલાટી કમ મંત્રી માટે પગારધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે 19950 ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. તલાટીની પરીક્ષા હેતુલક્ષી પ્રશ્નો(ઓએમઆર) પદ્ધતિથી લેવાશે. જેમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ 35 ગુણ, ગણિત 15 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 15 ગુણ, સામાન્ય જ્ઞાન 35 ગુણ એમ કુલ 100 ગુણના પ્રશ્નો રહેશે. દરેક સાચા જવાબદીઠ એક ગુણ મળશે. સમિતિ દ્વારા માઈનસ પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. જે મુજબ દરેક ખોટા જવાબદીઠ - 0.3, ખાલી છોડેલ જવાબદીઠ - 0.4, એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા દરેક જવાબદીઠ - 0.6 ગુણ કપાશે.