વસ્તુ દમદાર હોય તો વેચાય જ : આમિર
મુંબઈ, 20 નવેમ્બર : તેમને બૉક્સ ઑફિસ રેકૉર્ડ ઉપર ભરોસો નથી અને તેઓ સો કરોડ ક્લબમાં જોડાવા પણ નથી માંગતાં. તેઓ ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટીને વધુ મહત્વ આપે છે અને તેમનું માનવું છે કે જો વસ્તુ સારી હોય તો તે આપોઆપ બૉક્સ ઑફિસે વેચાય જ છે. આપ સમજી ગયા હશો કે અમે કોની વાત કરીએ છીએ. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ એટલે કે આમિર ખાનની.
આમિર ખાનની ફિલ્મ તલાશ આ માસના અંતે 30મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત આમિરે એક ઇવેન્ટ દરમિયાન જણાવ્યું કે જ્યારે આપની વસ્તુમાં દમ હોય, તો તે વસ્તુ લોકોને કોઈ પણ હિસાબે પસંદ આવશે જ. તલાશ એક બહેતરીન ફિલ્મ છે કે જે રીમા કાગતીએ ખૂબ જ ખૂબીપૂર્વક બનાવી છે. તેમની ધગશનું જ પરિણામ છે કે અમે એક સારી વાર્તા ઉપર કામ કરી શક્યાં. મને આશા છે કે આ ફિલ્મ લોકોને જરૂર પસંદ પડશે.
નોંધનીય છે કે તલાશ ફિલ્મમાં આમિર ખાન એક પોલીસ ઇંસ્પેક્ટરના પાત્રમાં છે. ફિલ્મમાં તેમની સાથે રાણી મુખર્જી અને કરીના કપૂર છે. ફિલ્મમાં કરીનાએ એક વેશ્યાનો રોલ કર્યો છે, તો રાણી આમિરના પત્ની બન્યાં છે. ફિલ્મ એક સસ્પેંસ થ્રિલર છે. ફિલ્મનું પ્રોમો લોકોને ખાસુ પસંદ પડ્યું છે અને આશા સેવાઈ રહી છે કે ફિલ્મ આમિરની વધુ એક બહેતરીન ફિલ્મ હશે.