OMG! : કાનજીની વાત ન સમજાણી, પણ આમિરની પીકે હિટ...
મુંબઈ, 21 ડિસેમ્બર : ‘ઇસ ગોલે મેં રહને વાલે કિસી ભી પ્રાણી કા કૉલ રાઇટ નંબર જા હી નહીં રહા, સબ રૉંગ નંબર પર કૉલ કર રહે હૈં ઔર કોઈ ઉનકી ફિરકી લે રહા હૈ...' આમ કહેવું છે એલિયન બનેલા પીકેનું. ભગવાન પર અંધશ્રદ્દા, ધર્મોની ડોરીમાં ગુંચવાયેલા લોકો અને બાબાોના શકંજામાં જકડાતા રિવાજો, આ તમામ વાતો આપણે પહેલી વખત નથી સાંભળી, પરંતુ રાજકુમાર હીરાણીએ આ વાતોને જે રીતે દર્શકો સામે મૂકી છે, તે વખાણવા યોગ્ય છે. જોકે અમને આમ કહેવામાં કોઈ સંકોચ નથી કે સંદેશ હોવા ઝતાં પણ પીકે આપને વિચારવા ઉપર મજબૂર નહીં કરે.
બે વરસ પહેલા રિલીઝ થયેલી ઓહ માય ગૉડ એટલે કે ઓએમજી યાદ છે? જો હા, તો પછી પીકેની વાર્તા અને કેટલાક ડાયલૉગ્સ તેનાથી જ પ્રેરિત લાગશે. રાજકુમાર હીરાણી અને આમિર ખાનની ફિલ્મોના દર્શકો એવી આશા તો ન જ રાખે કે તેમની ફિલ્મો કે તેના ડાયલૉગ્સ કોઇક બીજી ફિલ્મથી પ્રેરિત હોય, પરંતુ આ સાચુ છે.
પાત્રોની બાબતમાં પીકે ફિલ્મ ખૂબ જ મજબૂત છે. સૌ પોત-પોતાની જગ્યાએ બહેતરીન છે. આમિર ખાનની એક્ટિંગ બેસ્ટ છે અને એલિયન તરીકે દર્શકોએ તેમને ખૂબ પસંદ પણ કર્યાં, પરંતુ એમ કહેવું કે અતિશ્યોક્તિ ગણાશે કે પીકે આમિરની બેસ્ટ ફિલ્મ છે.
ખેર, હાલ તો સ્લાઇડરમાં વાંચો પીકેમાં કયું પાત્ર કેટલુ મજબૂત રહ્યું અને કઈ વાતે દર્શકોને નિરાશ કરી :
પીકે
એલિયન બનેલા આમિર દરેક રીતે બેસ્ટ છે. અભિનયના હિસાબે આમિરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આખી ફિલ્મમાં તેઓ નૅચરલ લાગે છે. જોકે ફિલ્મની મુખ્ય થીમ પીકે નથી, પણ તે માત્ર સંદેશ આપવાનું માધ્યમ છે. ધર્મ અને જાત-પાતના નામે આપણે જે ભેદભાવ કરીએ છીએ, પીકે તેને પડકારે છે.
જગત જનની
જગત જનની બનેલા અનુષ્કા શર્મા એક્ટિંગમાં બહેતરીન છે, પરંતુ રાજકુમાર હીરાણીએ અનુષ્કા પાસે તેટલુ જ કરાવ્યું, જેટલું તેઓ અગાઉ કરી ચુક્યાં છે. આ ફલ્મથી અનુષ્કાની છબીમાં કોઈ પરિવર્તન નહીં આવે. તેઓ એક બહેતર એક્ટ્રેસ છે, તે સૌ જાણતા હતાં. જોકે જગત જનની વાત કરીએ, તો આ પાત્રમાં હીરાણીએ કોઈ કચાસ બાકી નથી રાખી. તેમની નાનકડી લવ-સ્ટોરી શરૂ કરાવી, તો તેને પરિણામે પણ પહોંચાડી અને કદાચ તેમાં ફિલ્મમાં ગરબડ થઈ ગઈ.
ભૈરોસિંહ
ભૈરોસિંહ બનેલા સંજય દત્તે દિલ જીતી લીધાં. ભૈરોસિંહનું પાત્ર હીરાણીએ જાણે સંજૂ બાબા માટે જ લખ્યુ હતું, પણ તેને મરાવી કેમ નાંખ્યું. ભૈરોંસિંહના મોત વગર પણ ફિલ્મનો સંદેશ તેટલો જ અસરકારક રહેત, જેટલો ટ્રેન ધડાકા બાદ. જોકે સંજય દત્તે ફરી એક વાર હીરાણીની ફિલ્મમાં કમાલ કરી છે.
સરફરાઝ યુસુફ
પીકેમાં આ સાબિત થઈ ગયું કે સુશાંત સિંહ રાજપૂત બૉલીવુડમાં લાંબી રેસના ઘોડા છે. સરફરાજના પાત્રમાં સુશાંત થોડીક મિનિટો માટે આવ્યાં અને દર્શકોના દિલ જીતી લીધાં. સુશાંતે સરફરાઝના પાત્ર સાથે પુરતો ન્યાય કર્યો છે. એ વાત જુદી છે કે દિગ્દર્શકે સીન ચેંજ થતા સુશાંતના કૉસ્ચ્યુમ સુદ્ધા ચેંજ ન કર્યાં.
તપસ્વી મહારાજ
તપસ્વી મહારાજ બનેલા સૌરભ શુક્લાએ પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે. કથિત સંત-મહાત્મા કે જે લોકોને ઉલ્લૂ બનાવી રહ્યાં છે, તેમના અંગે વાત કરે છે પીકે. એટલે તપસ્વીને રાજકુમાર હીરાણીએ ખૂબ જ સચોટ રીતે પડદે રજૂ કર્યા છે. જોકે ફિલ્મના અંતે લાઇવ શો પર ક્લાઇમૅક્સ થોડોક વધુ હતો.
બોમન ઈરાની
બોમન ઈરાની હંમેશા પોતાના પાત્રમાં સેટ થઈ જાય છે. એટલે પીકેમાં પણ ચૅનલ હૅડ બનેલા બોમન ખૂબ જ સશક્ત નજરે પડે છે. જોકે દિગ્દર્શકે તેમના માટે કંઈ વધુ નહોતુ રાખ્યું, પરંતુ ફિલ્મમાં તેમના ડાયલૉગ્સ ખૂબ જ ઇમ્પ્રેસિવ છે.
કાનજી વર્સિસ પીકે
બે વરસ પહેલા જ પરેશ રાવલે આવી જ વાતો આપણને ઓહ માય ગૉડ ફિલ્મ વડે સમજાવી હતી. કાનજીના પાત્ર દ્વારા પરેશે તમામ પ્રકારના અંધવિશ્વાસો અંગે સમજાવ્યુ હતું, પરંતુ ઓએમજીને એટલી હાઇપ કે હિટ ન મળી, જેટલી આમિર ખાનની પીકેને મળી.