દીવાળીનું દિલ મોટું, બે ફિલ્મોની જગ્યા હોય જ : અજય
મુંબઈ, 2 નવેમ્બર : આ વર્ષની દીવાળી માત્ર ફટાકડાના અવાજ સાથે જ ધમાકેાર નહિં રહે, પણ આ દીવાળીએ સિનેમા ઘરોમાં બે મોટી ફિલ્મોનો પણ ધમાકો થવાનો છે. એમ તો દર વર્ષે દીવાળીએ બે કે ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થતી હોય છે, પરંતુ આ વર્ષની વાત કઈંક જુદી છે અને તેવું એટલા માટે કે આ વર્ષે શાહરુખની પણ સ્પેશિયલ ફિલ્મ જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે રિલીઝ થઈ રહી છે અને અજય દેવગણની સન ઑફ સરદાર એટલે કે એસઓએસ રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મો તેમના હીરોના કારણે ખૂબ જ ખાસ છે.
શાહરુખ ખાન માટે આ ફિલ્મ ખાસ છે કારણ કે આ ફિલ્મ તેમના પિતાતુલ્ય યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ છે, તો બીજી બાજુ અજય દેવગણની એસઓસ એટલા માટે ખાસ છે કારણ કે આ વર્ષે બોલ બચ્ચન સિવાય અજયની એક પણ હિટ ફિલ્મ નથી આવી. તો અજયને આ ફિલ્મ પાસે બહુ આશા છે. હવે બંને ફિલ્મો વચ્ચે સફળતાનો જંગ છેડાયો છે અને મીડિયા આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તાજેતરમાં જ સમાચાર મળ્યાં કે શાહરુખે અજયને રિક્વેસ્ટ કરી છે કે તેઓ દીવાળીએ ફિલ્મ રિલીઝ ના કરે, જેથી તેમની જબ તક હૈ જાનનો બિઝનેસ પ્રભાવિત ન થાય.
બીજી બાજું અજય કહે છે કે એવું કશુંય નથી. ઉલ્ટું શાહરુખે તો એમ કહ્યું કે બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવી જોઇએ, કારણ કે જો યશજી હયાત હોત, તો તેઓ પણ એવું જ ઇચ્છત કે બંને મોટી ફિલ્મો એક સાથે રિલીઝ થાય અને એમ પણ દીવાળીએ હંમેશા બે ફિલ્મો રિલીઝ થવાની જગ્યા હોય જ છે. તેનાથી કોઈ પણ ફિલ્મનો બિઝનેસમાં કમી નથી આવતી. અગાઉ પણ અનેક વાર બે ફિલ્મો રિલીઝ થઈ છે અને બંનેએ સારી કમાણી કરી છે.
હવે બંનેમાંથી કઈ વાત સાચી છે એ તો શાહરુખ જાણે કાં તો અજય જાણે. ખેર, જે કઈં પણ હોય, દર્શકો માટે આ વર્ષે દીવાળીએ સારી ટ્રીટ મળવાની છે.