શાહરુખ વગર બાઝીગરની સિક્વલ નહિં : રતન જૈન
મુંબઈ, 20 મે : ફિલ્મ નિર્માતા રતન જૈને જણાવ્યું કે હાલ બાઝીગરની સિક્વલ બનાવવાનું તેમનું કોઈ આયોજન નથી. જોકે તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ કેટલાંક વર્ષો બાદ આ અંગે વિચારશે, પરંતુ શાહરુખ વગર બાઝીગરની સિક્વલ બનાવવાની કલ્પના પણ ન કરી શકાય.
રતન જૈનના ભાઈ ગણેશ જૈને અપરાધ પર આધારિત એક રોમાંચક ફિલ્મ બનાવી છે. રતન જૈને જણાવ્યું - હા, હું આ અંગે વિચારવા સંમત છું કે બાઝીગરની સિક્વલ બનાવવી જોઇએ, પરંતુ અત્યારે નહીં. હું અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છું. શક્ય છે કે હું ત્રણથી ચાર વરસની અંદર બાઝીગરની બીજી આવૃત્તિ બનાવું.
તેમણે જણાવ્યું કે જોકે શાહરુખ ખાન વગર હું બાઝીગરની સિક્વલ બનાવવાની વાત કલ્પી જ ન શકું. જોઇએ આગળ શું થાય છે. અત્યારે કંઈક કહેવું ઉતાવળિયું ગણાશે.
નોંધનીય છે કે બાઝીગર ફિલ્મ 1993માં આવી હતી અને સુપરહિટ રહી હતી. ફિલ્મમાં કાજોલ તથા શિલ્પા શેટ્ટી પણ હતાં. અબ્બાસ-મુસ્તાન દિગ્દર્શિત આ ફિલ્મમાં શાહરુખ-કાજોલની જોડી ખૂબ વખણાઈ હતી.