બોલિવૂડ અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે અવસાન
મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા અને લોકપ્રિય કોમેડિયન અસરાનીનું 20 ઓક્ટોબર, 2025 (સોમવારે) 84 વર્ષની વયે અવસાન થયું છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ મુંબઈના જુહુ સ્થિત ભારતીય આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
અસરાનીના મેનેજર બાબુભાઈ થિબાના જણાવ્યા અનુસાર, તેઓ લાંબા સમયથી શ્વાસ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. મેનેજરે કહ્યું કે, "અસરાણી અસ્વસ્થ હતા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."

મેનેજરે વધુમાં જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું હતું કે અસરાનીના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો, પરંતુ તેઓ સાજા થઈ શક્યા નહીં અને આખરે દિવાળીના દિવસે તેમણે દુનિયાને અલવિદા કહ્યું.
ખાસ વાત એ છે કે અસરાનીએ તેમના નિધનનાં માત્ર છ કલાક પહેલાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. 20 ઓક્ટોબર, 2025 (સોમવારે) સવારે તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સુંદર મેસેજ શેર કરીને તહેવારની શુભેચ્છાઓ આપી હતી. જોકે, તે જ દિવસે બપોરે તેમના નિધનના સમાચાર આવતાં ચાહકો આઘાતમાં છે.
અસરાનીની પત્ની મંજુએ જણાવ્યું કે, તેમની અંતિમ ઇચ્છા અત્યંત સાદગીપૂર્ણ હતી. અસરણીએ તેમને કહ્યું હતું કે તેઓ શાંતિથી અને કોઈ પણ જાતની હલચલ વગર આ દુનિયા છોડવા માંગે છે. મંજુએ ખુલાસો કર્યો કે અસરણી નથી ઈચ્છતા કે તેમના નિધનના સમાચારથી કોઈ શોરબકોર થાય.
મંજુએ ઉમેર્યું કે, અસરણી નથી ઈચ્છતા કે તેમના કારણે કોઈનો તહેવાર બગડે કે કોઈ ગડબડ થાય. તેમની આ ઈચ્છાનું સન્માન કરતા પરિવારે અત્યંત સાદગીપૂર્વક અને કોઈ પણ જાહેર ઘોષણા વિના તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
વર્ષ 1975ની બ્લોકબસ્ટર ફિલ્મ 'શોલે'માં અસરાની દ્વારા ભજવવામાં આવેલો પાગલ જેલરનો યાદગાર કિરદાર આજે પણ હિન્દી સિનેમાના ઇતિહાસનો એક અવિભાજ્ય ભાગ છે. તેમનો પ્રસિદ્ધ સંવાદ – "હમ અંગ્રેજોં કે ઝમાને કે જેલર હૈં" – આજે પણ લોકોની જીભ પર છે.
એવું કહેવાય છે કે આ કિરદાર ચાર્લી ચેપ્લિનની ફિલ્મ 'ધ ગ્રેટ ડિક્ટેટર'થી પ્રેરિત હતો, પરંતુ અસરાનીએ તેમની ઉત્તમ કોમિક ટાઇમિંગ અને અનોખી અભિનય શૈલીથી તેને એક નવું જીવન બક્ષ્યું હતું.












Click it and Unblock the Notifications
