#Sridevi : 55 વર્ષની નાની વયે શ્રીદેવીની હાર્ટ અટેકના કારણે થઇ મોત
બોલીવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું 55 વર્ષની ઉંમરે દુબઇમાં હાર્ટ અટેકના કારણે મોત થઇ ગયું છે. જાણો આ અંગે વધુ અહીં.
બોલીવૂડ માટે ખુબ જ દુખદ સમાચાર આવ્યા છે. બોલીવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીને શનિવાર રાતે દુબઇમાં હાર્ટ અટેક આવતા 55 વર્ષની વયે તેમનું નિધન થઇ ગયું છે. બોલીવૂડ એક્ટર મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા માટે તે પરિવાર સાથે દુબઇ ગઇ હતી. જ્યાં તેને હદય રોગનો હુમલો થતા તેમની મોત થઇ છે. બપોરે 2 વાગે તેમના પાર્થિવ દેહને મુંબઇ લાવવામાં આવશે. ચોક્કસથી આના કારણે બોલીવૂડ સમેત શ્રીના હજારો કરોડો ચાહકો ગમગીન થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની મોત માટે શોક વ્યક્ત કર્યો છે.
બોલીવૂડ શોકગ્રસ્ત
ચોક્કસથી બોલીવૂડ લોકપ્રિય અભિનેત્રી તેવી શ્રીદેવીએ અચાનક આપણો સાથ છોડી દેતા બોલીવૂડ સમેત સમગ્ર ભારત હાલ શોકગ્રસ્ત છે. અનેક લોકોને તો હજી પણ માનવામાં નથી આવી રહ્યું કે શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. શ્રીદેવીના ચાહકો તેના મુંબઇના અંધેરી સ્થિત ઘરે આગળ ઉમટી રહ્યા છે. અને અનેક લોકો સોશ્યલ મીડિયા દ્વારા અને બીજી રીતે તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પીએમ મોદીએ તેમની મોત પછી ટ્વિટર પર કહ્યું કે તેમણે યાદગાર કામ કર્યું હતું અને તેમનું જવું ખરેખરમાં દુખદ સમાચાર છે. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.
શ્રીદેવીની ખોટ કદી નહીં પૂરાય
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચુલબુલી, સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી શ્રીદેવીને બોલીવૂડની ફિમેલ સુપર સ્ટાર કહેવામાં આવતી હતી. તેણે એ ઉંમરે તેનાથી અનેક નાના સ્ટાર સાથે હિરોઇન તરીકે કામ કરીને નવો ચીલો ચીતર્યો હતો. વાત હોય એક્ટિંગ કે પછી નૃત્યની કે પછી સુંદરતાથી શ્રીદેવી જેવું ના તો કોઇ થવાનું છે ના કદી થયું છે. ચોક્કસથી શ્રીદેવીની બોલીવૂડની જગ્યા અન્ય કોઇ અભિનેત્રી ક્યારેય નહીં ભરી શકે. ચાંદની, હિંમતવાલા, નાગીન, રૂપ કી રાની ચોરો કી રાજા, જેવા અનેક ફિલ્મોમા નામ તેમના નામ સાથે જોડાયેલા છે.
જાહ્નવી નહતી અંતિમ સમયે
નોંધનીય છે કે શ્રીદેવીએ પ્રોડ્યૂસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. અને તે પછી ફિલ્મોથી લાંબો બ્રેક લીધોહતો. અને ફિલ્મ ઇગ્લિંશ વિંગ્લિશ સાથે ધમાકેદાર વાપસી કરી હતી. છેલ્લે તેમને મોમ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારે હાલ તો તેમના પરિવારમાં અને ખાસ કરીને બોની કપૂર અને તેમની બંન્ને પુત્રીઓ ખુશી અને જાહ્નવીના માથે આભ ફૂટી ગયું છે. જાહ્નવી શૂટિંગની વ્યસ્તતાના કારણે દુબઇ ગઇ નહતી. ખાલી ખુશી અને બોની કપૂર જ શ્રીદેવી સાથે દુબઇ ગયા હતા. ત્યારે શ્રીદેવી જેવી બોલીવૂડની અદ્ધભૂત અભિનેત્રીને વનઇન્ડિયા તરફથી ભાવપૂર્વક શ્રદ્ઘાજંલિ અમે અર્પીએ છીએ.