એક્ટર રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવશે, દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા
બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તિહાર જેલમાં 11 દિવસ વિતાવ્યા બાદ અભિનેતાની મુક્તિ થઈ છે, જે તેમના ચાહકો માટે ખૂબ જ આનંદના સમાચાર છે. અદાલતે આદેશ આપ્યો હતો કે રાજપાલ યાદવે બપોરે 3 વાગ્યા સુધીમાં ₹1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ કોર્ટમાં જમા કરાવવો પડશે.

જો નિર્ધારિત સમયમાં આ રકમ જમા ન થઈ હોત તો 17 ફેબ્રુઆરીના રોજ આ મામલે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. રાજપાલ યાદવે કોર્ટના આદેશનું પાલન કરતા સમયસર રકમ જમા કરાવી દીધી હતી, જેના કારણે તેમને જેલમુક્તિનો માર્ગ મોકળો બન્યો. અભિનેતાએ પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી, જેનો કાર્યક્રમ 19 ફેબ્રુઆરીએ છે.
આ સમગ્ર વિવાદ વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'અતા પતા લાપતા' માટે લેવામાં આવેલી ₹5 કરોડની લોન સાથે જોડાયેલો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેતા દેવું વ્યાજ સાથે વધીને ₹9 કરોડ સુધી પહોંચી ગયું હતું, જેને કારણે આ કાનૂની મુશ્કેલી સર્જાઈ. રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજપાલ અત્યારે એકદમ સ્વસ્થ છે અને પરિવાર તેમની સાથે છે.
રાધા યાદવે આ મુશ્કેલ સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને ચાહકો તરફથી મળી રહેલા અપાર પ્રેમ અને સમર્થન બદલ સૌનો આભાર માન્યો હતો. સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારોએ રાજપાલ યાદવને ટેકો જાહેર કર્યો હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ છે. જોકે, તેમની પત્નીએ હાલમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ લેવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ ઉદ્યોગના મિત્રોની મદદની વાત સ્વીકારી હતી.












Click it and Unblock the Notifications
