એક થી ડાયન દ્વારા કમબૅક કરશે કોંકણા સેન શર્મા
મુંબઈ, 18 જાન્યુઆરી : આજકાલ એકતા કપૂરની આવનાર ફિલ્મ એક થી ડાયન ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ જાદુગર તથા ડાયન વચ્ચેની વાર્તા છે કે જેને લઈને ફિલ્મની આખી સ્ટારકાસ્ટ ખૂબ ઉત્સુક છે. એક બાજુ ઇમરાન હાશમી, કલ્કી કોચલીન તથા હુમા કુરૈશી આ ફિલ્મને ખૂબ જ રસપ્રદ તથા રહસ્યમય બતાવે છે, તો બીજી બાજુ આ ફિલ્મ કોંકણા સેન શર્મા માટે કમબૅક સાબિત થઈ શકે છે. એક થી ડાયન કોંકણા સેન શર્માના ફિલ્મી કૅરિયરને પુનઃ નવી દિશા અને ગતિ આપી શકે છે કે જે તેમના લગ્ન અને બાળકોના પગલે ક્યાંક ખોવાઈ ગયું છે.

સર્વવિદિત છે કે કોંકણા હાલ પોતાના અંગત જીવનમાં ખૂબ હેરાન-પરેશાન છે. પતિ રણવીર શૌરી સાથેના સંબંધો તણાવગ્રસ્ત બન્યાં છે. બાબત છુટાછેડા સુધી પહોંચી ગઈ છે. લિવ ઇન રિલેશનમાં રહેતાં આ બંને સિતારાઓએ લાંબા પ્રણય સંબંધ બાદ લગ્ન કર્યા હતાં. બંનેને એક પુત્ર પણ છે, પરંતુ પછી અચાનક અણબનાવના સમાચારો આવ્યાં અને હવે બંને જુદા-જુદા રહે છે. તેથી કોંકણા પુનઃ ફિલ્મોમાં સક્રિય થયાં છે અને લાંબાગાળા બાદ તેઓ એક થી ડાયન ફિલ્મમાં દેખા દેનાર છે.
કોંકણા સેન શર્માએ ઓમકારા, વેકઅપ સીડ અને અતિથિ તુમ કબ જાઓગે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમના અભિનયના વખાણ પણ થયાં છે. એક થી ડાયન ફિલ્મના નિર્માતા એકતા કપૂર તથા વિશાલ ભારદ્વાજ છે. દિગ્દર્શક કનન અય્યર છે. કહે છે કે આ ફિલ્મ કોંકણના પિતા મુકુલ શર્માની વાર્તા પર આધારિત છે. ઇમરાન હાશમી જાદુગરના રોલમાં છે. આ ફિલ્મ 18મી એપ્રિલના રોજ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
