Mahadev Online Betting Case: રણબીર કપૂર સહિત 15 બોલીવુડ સેલિબ્રિટીને EDએ પાઠવ્યું સમન, કરાશે પૂછપરછ
Mahadev Online Betting Case: બોલીવુડ એક્ટર રણબીર કપૂર વર્તમાન સમયમાં હેડલાઇન્સમાં રહે છે. રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ એનિમલ ના ટીઝર થોડા પહેલા રિલીઝ થયું હતું. આ ટીઝરને ચાહકોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે.
લોકોને ફિલ્મમાં રણબીર કપૂરનો વિકરાળ અવતાર ખૂબ જ પાવરફુલ લાગી રહ્યો છે. આ દરમિયાન રણબીર કપૂરને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ, તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રણબીર કપૂરને આજે એટલે કે 4 ઓક્ટોબર, 2023ના રોજ સમન્સ જાહેર કર્યું છે. તેમને 6 ઓક્ટોબર, 2023ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. વાસ્તવમાં આ મામલો મહાદેવ બુક ઓનલાઈન લોટરીના મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે, આ ઓનલાઈન સટ્ટાબાજી એપને કારણે 15 બોલીવુડ સ્ટાર્સ હાલમાં EDના રડાર પર છે. થોડા અઠવાડિયા પહેલા આ કેસમાં ટાઈગર શ્રોફ, સની લિયોન, નેહા કક્કર અને રાહત ફતેહ અલી ખાન જેવા કલાકારોના નામ સામે આવ્યા હતા. હવે આ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટના પતિ અભિનેતા રણબીર કપૂરની પણ ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુબઈમાં 200 કરોડ રૂપિયાના ભવ્ય લગ્નમાં હાજરી આપ્યા બાદ EDના રડારમાં હાજર તમામ સ્ટાર્સ મુશ્કેલીમાં છે. ગેરકાયદેસર સટ્ટાબાજીના આ મામલામાં EDએ હવે મોટું પગલું ભર્યું છે અને ધીમે ધીમે તમામ બોલીવુડ સેલેબ્સને સમન્સ મોકલવાનું શરૂ કરી દીધું છે. આમાં સૌથી પહેલું નામ રણબીર કપૂરનું છે. હાલમાં ઈડીએ રણબીર કપૂરને 6 ઓક્ટોબર, 2023ના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે.
આ પૂછપરછમાં રણબીર કપૂરને દુબઈમાં વૈભવી લગ્નમાં હાજરી આપવા, પરફોર્મ કરવા, પેમેન્ટ લેવા વગેરે અંગે અનેક પ્રકારના સવાલો પૂછવામાં આવી શકે છે. ગયા મહિને EDએ ઘણા શહેરોમાં રેડ કરવામાં આવી હતી. આ રેડમાં 417 કરોડ રૂપિયાની જંગી રકમ મળી આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નની માહિતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રકરે ફેબ્રુઆરી 2023માં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભવ્ય રીતે લગ્ન કર્યા હતો. આ લગ્નમાં તેણે 200 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. આ ભવ્ય લગ્નમાં બોલીવુડની અનેક હસ્તીઓ સામેલ થવાની માહિતી સામે આવી હતી.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો લગ્નમાં હાજરી આપનાર સેલેબ્સમાં નુસરત ભરુચા, કૃષ્ણા અભિષેક, અલી અસગર, વિશાલ દદલાની, પુલિકત સમ્રાટ, નેહા કક્કર, એલી અવરામ, ભારતી સિંહ, સની લિયોન, ભાગ્યશ્રી, આતિફ અસલમ, ટાઈગર શ્રોફ, રાહત ફતેહ અલી ખાન, કૃતિ ઘરંબડા અને રણબીર કપૂર જેવા નામોનો સમાવેશ થાય છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સૌરભ ચંદ્રાકરના લગ્નમાં બોલીવુડના ઘણા ગાયકો, અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ભવ્ય લગ્નના વીડિયોમાં ઘણા સેલેબ્સ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, હવાલા દ્વારા આ સેલેબ્સને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. હવે ED ટૂંક સમયમાં આ પેમેન્ટને લઈને દરેકની પૂછપરછ કરવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
