શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં ફરી વધી, બંને સામે છેતરપિંડીનો કેસ નોંધાયો
કાનૂની કેસમાં ફસાયેલા આ કપલ સામે હવે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
Cheating Case : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કાનૂની કેસમાં ફસાયેલા આ કપલ સામે હવે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતિન બરાઈ નામના વ્યક્તિએ બાંદ્રા પોલીસને માહિતી આપી હતી કે, શિલ્પા અને રાજ તેની સાથે વર્ષ 2014થી એક ફર્મ દ્વારા છેતરપિંડી કરી રહ્યા છે.
બારાઈની ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા સહિત અન્ય તમામ આરોપીઓ સામે આઈપીસીની કલમ 406, 409, 420, 506, 34 અને 120 (બી) હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જે બાદ હવે મુંબઈ પોલીસ જલ્દી જ આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરી શકે છે. આવા સમયે આ કેસમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનો પક્ષ જાણવા માટે પોલીસ ટૂંક સમયમાં તેમનો સંપર્ક કરી શકે છે.
પોતાની ફરિયાદ નોંધાવતી વખતે બરાઈએ પોલીસને જણાવ્યું કે, તેમને કહેવામાં આવ્યું હતું કે, જો તેઓ તેમની કંપનીની ફ્રેન્ચાઈઝી લઈને પૂણેના કોરેગાંવ વિસ્તારમાં સ્પા અને જિમ ખોલશે તો તેમને ઘણો ફાયદો થશે. તેની સલાહ બાદ બારાઈએ 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ જે બાદ આરોપીઓએ તેના પૈસા પોતાના ફાયદા માટે વાપર્યા હતા. એટલું જ નહીં, જ્યારે તેણે તેના પૈસા પાછા માંગ્યા તો તેને ધમકી પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીનો પતિ એક કેસમાં પહેલા જ જામીન પર બહાર છે. રાજ કુન્દ્રાની ચાલુ વર્ષે જુલાઈમાં પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને પ્રસારણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેણે લગભગ 2 મહિના જેલમાં વિતાવ્યા હતા. હાલ તે જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ રાજ અને શિલ્પા ભાગ્યે જ સાથે જોવા મળ્યા હતા. જો કે, થોડા દિવસો પહેલા આ કેસ બાદ આ કપલ પહેલીવાર જાહેરમાં સાથે જોવા મળ્યું હતું. શિલ્પા આ દિવસોમાં પરિવાર સાથે હિમાચલમાં છે. અહીં તેણે પતિ રાજ સાથે ધર્મશાળામાં બગલામુખી મંદિરની મુલાકાત પણ લીધી હતી.
આવા સમયે રાજ કુન્દ્રા જેલમાંથી બહાર આવ્યા બાદ ઓછા સક્રિય રહ્યા હતા. એટલું જ નહીં તેણે સોશિયલ મીડિયાને પણ અલવિદા કહી દીધું છે. તાજેતરમાં તેણે તેના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ કાઢી નાખ્યા હતા. જો કે આ પહેલા તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતો. તે અવારનવાર પત્ની શિલ્પા અને બાળકો સાથે ફોટા અને વીડિયો શેર કરતો હતો.