નવું બંધારણ લખવાની જરૂર, ભાજપને બંગાળની ખાડીમાં ફેંકી દેવી જોઈએ
તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે દેશમાં નવા બંધારણની માગ કરી છે. KCRએ જણાવ્યું હતું કે, દેશમાં નવી વિચારસરણી, નવું બંધારણ આવવું જોઈએ. KCRએ જણાવ્યું હતું કે, દેશમાં વધુ સારા નેતૃત્વ પરિવર્તનની જરૂર છે.
હૈદરાબાદ, 02 ફેબ્રુઆરી : તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે દેશમાં નવા બંધારણની માગ કરી છે. KCRએ જણાવ્યું હતું કે, દેશમાં નવી વિચારસરણી, નવું બંધારણ આવવું જોઈએ.
KCRએ જણાવ્યું હતું કે, દેશમાં વધુ સારા નેતૃત્વ પરિવર્તનની જરૂર છે. આ માટે અમે મુંબઈ જઈ રહ્યા છીએ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળીશું. કેન્દ્રમાં ભાજપને હટાવવાની જરૂર છે, તેમને બંગાળની ખાડીમાં ફેંકી દેવાની જરૂર છે. દેશ માટે જે જરૂરી હશે તે કરીશું. અમે શાંતિથી બેસીશું. આ લોકશાહી છે, આપણા વડાપ્રધાન સ્વપ્નદ્રષ્ટા નથી.
આ પહેલા મંગળવારના રોજ જ્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું, ત્યારે KCRએ તેને નકામું અને હેતુહીન બજેટ ગણાવ્યું હતું.
કે ચંદ્રશેખરે જણાવ્યું કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનું બજેટ કોઈ દિશા કે ઈરાદો દર્શાવતું નથી, તે નકામું અને હેતુહીન બજેટ છે. આટલું જ નહીં, તેમણે નિર્મલા સીતારમણના ભાષણને પોકળ અને શબ્દોની ખીચડી ગણાવી.
KCRએ જણાવ્યું હતું કે, આ બજેટથી સરકારે પોતાના વખાણ કર્યા છે, જ્યારે સત્ય એ છે કે, સામાન્ય માણસ વધુ હતાશા તરફ ગયો છે.
બજેટથી દેશના જાહેર આરોગ્ય અને અન્ય માળખાકીય સુવિધાઓની અવગણના કરી
KCRએ જણાવ્યું હતું કે, આ બજેટે સામાન્ય વેપારીઓ અને જોબ વર્કર્સને ખૂબ નિરાશ કર્યા છે. તે કમનસીબી છે કે, આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નોકરિયાત અને વેપારીઓ આ માટે ઘણી અપેક્ષા રાખતા હતા. સરકારે આ બજેટથી દેશના જાહેર આરોગ્ય અને અન્ય માળખાકીય સુવિધાઓની અવગણના કરી છે. આ કમનસીબ છે.