ગુલઝારની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટે પસંદગી
અમદાવાદ, 1 ઑક્ટોબર : અત્યાર સુધી પદ્મ ભૂષણ, સાહિત્ય અકાદમી, ફિલ્મફૅર, નેશનલ ફિલ્મ જેવા ઘણાં એવૉર્ડ જીત્યાં બાદ હવે ગીતકાર, કવિ અને દિગ્દર્શક ગુલઝારની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા એવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ આગામી 31મી ઑક્ટોર બલિદાન દિવસ એટલે કે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિએ યોજવામાં આવનાર એક સમારંભ દરમિયાન યુપીએ પ્રમુખ સોનિયા ગાંધીના હસ્તે ગુલઝારને સન્માનવામાં આવશે. પુરસ્કાર હેઠળ ગુલઝારને પાંચ લાખ રુપિયા રોકડ, એક પ્રશસ્તિ પત્ર સોંપવામાં આવશે. આ એવૉર્ડ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા અને તેના સંરક્ષણ ક્ષેત્રે આપવામાં આવેલ અતુલ્ય ફાળા માટે અપાય છે.
75 વર્ષીય ગુલઝાર અગાઉ ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય ઘણાં લોકોને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. તેમાં દિગ્દર્શક શ્યામ બેનેગલ, જાવેદ અખ્તર, એ. આર. રહેમાન અને લેખક મહાશ્વેતા દેવીનો સમાવેશ થાય છે. સાથે જ આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, શંકર દયાળ શર્મા, ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, પંજાબનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહ, અરુણા આસફ અલી તેમજ મોહન ધારિયા પણ આ એવૉર્ડ મેળવી ચુક્યાં છે.
અત્યાર સુધી આ પુરસ્કાર માટે સ્કાઉટ એન્ડ ગાઇડ્સ, પરમધામ આશ્રમ પવનાર, વર્ધા, કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ ઇન્દોર તેમજ રામકૃષ્ણ મિશન આશ્રમ નારાયણપુર છત્તીસગઢ જેવી સંસ્થાઓ પણ સન્માનવામાં આવી છે.