મુન્નાની ઘરની રોટલીઓ ઉપર જેલ વહિવટી તંત્રની તરાપ
મુંબઈ, 29 મે : લાગે છે કે સંજય દત્તની ગ્રહ-દશા હદથી વધારે ખરાબ ચાલી રહી છે. એટલે જ તો તેમને જેલની અંદર પણ ચેન નથી મળ્યો. મળતી માહિતી પ્રમાણે યરવડા જેલ વહિવટી તંત્રે સંજય દત્તના ઘરનું ભોજન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. જેલ વહિવટી તંત્રે આની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે.
જેલ વહિવટી તંત્રનું કહેવું છે કે આ બધુ જેલના નિયમોની વિરુદ્ધ છે. બૉલીવુડ અભિનેતા સંજય દત્ત પણ એક સામાન્ય કેદી છે અને તેમને પણ એ જ ખાવાનું મળવું જોઇએ કે જે જેલના બાકીના કેદીઓને મળે છે.
નોંધનીય છે કે સંજય દત્તે ગત 16મી મેના રોડ સરેન્ડર કર્યુ હતું. તે વખતે તેમણે કોર્ટ સમક્ષ પોતાની કેટલીક માંગણીઓ મૂકી હતી. તેમાં ઘરનું ખાવાનું, ઘરની પથારી પર સૂવાનું, દવાઓ અને સિગરેટ પીવાની અનુમતિ માંગવાનો સમાવેશ થતો હતો, પરંતુ કોર્ટે તેમને ઈ-સિગરેટ ફાળવવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે તેમને એક માસ સુધી ઘરનું ભોજન ખાવાની અને ઘરેથી લાવેલ પથારી ઉપર સૂવાની રજા મળી હતી.
જેલ વહિવટી તંત્રે આ સુવિધાનો વિરોધ કર્યો છે અને કોર્ટમાં અરજી દાખલ કરી છે. જોઇએ હવે સંજય દત્ત માટે કોર્ટ તરફથી કયો નવો ફરમાન આવે છે.