પ્રિવ્યૂ : લવ થઈ જશે કાઇ પો છે સાથે
મુંબઈ, 21 ફેબ્રુઆરી : ચેતન ભગતની જાણીતી નવલકથા ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર આધારિત અભિષેક કપૂરની આવનાર ફિલ્મ કાઇ પો છે ખૂબ ચર્ચામાં છે. ત્રણ મિત્રો ઈશન ભટ્ટ, ઓમકાર શાસ્ત્રી અને ગોવિંદ પટેલની આસપાર ફરતી વાર્તા પર આધારિત ફિલ્મ કાઇ પો છેનો લોકોને આતુરતાપૂર્વક ઇંતેજાર છે.
આ અગાઉ રૉક ઑન, દિલ ચાહતા હૈ, થ્રી ઈડિયટ્સ અને ઝિંદગી ના મિલેગી દોબારા જેવી તમામ ફિલ્મો મિત્રોની મિત્રતા અને તેમના જીવન પર આધારિત હતી. આ ફિલ્મો લોકોને ખૂબ ગમી હતી અને બૉક્સ ઑફિસે આ ફિલ્મોએ સારીએવી કમાણી પણ કરી હતી. હવે અભિષેક કપૂર ફરી એક વાર આવા જ વિષયને બૉક્સ ઑફિસે વટાવવાની કોશિશમાં છે.
વાર્તા : કાઇ પો છે ફિલ્મ ત્રણ મિત્રોના જીવનની સફર પર આધારિત છે. પોતાના જીવનમાં આગળ વધતાં પોત-પોતાના કૅરિયર તરીકે ક્રિકેટ, ધર્મ અને બિઝનેસ સાથે જોડાયેલ નવા-નવા પાસાઓ શોધતાં આ ત્રણે મિત્રો ક્યાં પહોંચે છે, આ જ ફિલ્મની વાર્તા છે. ફિલ્મનો બ્રૅકડ્રૉપ ધર્મ અને પૉલિટિક્સ પર આધારિત છે. ફિલ્મની વાર્તા ગોવિંદ (રાજ કુમાર યાદવ) દ્વારા કરાયેલ ત્રણ ભૂલો ઉપર ફોકસ કરે છે. ફિલ્મની શરુઆત થાય છે ત્રણ ખૂબ જ ગાઢ મિત્રો ઈશાન (સુશાંત સિંહ રાજપૂત), ઓમી (અમિત સાધ) અને ગોવિંદ (રાજકુમાર જાદવ) સાથે. ત્રણે યંગ અને ખૂબ જ ટૅલેંટેડ મિત્રો છે. ત્રણે વર્ષ 2000માં કંઇક કરી બતાવવાનો ઉત્સાહ ધરાવે છે. તે વખતે ભારતની પરમાણુ ક્ષમતા વધતી જતી હતી. આ એક શ્રેષ્ઠ તક હતી અમદાવાદના ત્રણ યુવાનો માટે પોતાનો બિઝનેસ શરૂ કરવાની. ભારત એક એવો દેશ છ કે જ્યાં ક્રિકેટની પૂજા થાય છે. ત્રણે મિત્રો મળી એક ક્રિકેટ ટ્રેનિંગ એકેડેમી ખોલવાની યોજના બનાવે છે. તેના વડે તેઓ ભારતના ભાવિ સ્પોર્ટ સુપરસ્ટાર તૈયાર કરી શકે છે. પોતાના સપનાઓ પૂર્ણ કરવાની કોશિશમાં ત્રણે મિત્રો અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે અને આ જ મુશ્કેલીઓ સાથે ફિલ્મની વાર્તા આગળ ધપે છે.
કાઇ પો છે ફિલ્મ ચેતન ભગતની બેસ્ટસેલિંગ નવલકથા ધ થ્રી મિસ્ટેક્સ ઑફ લાઇફ પર આધારિત છે. કાઇ પો છેનો મતલબ તમામ ગુજરાતીઓ જાણે જ છે. આ શબ્દ ગુજરાતમાં પતંગોત્સવ એટલે કે ઉત્તરાયણ દરમિયાન પતંગ રસિયાઓ કરે છે. તેને વિજયના સિમ્બૉલ તરીકે ઓળખાય છે. ફિલ્મમાં ત્રણે મિત્રો એક-બીજાની સફળતા ઉપર કાઇ પો છેનો પોકાર કરી પોતાની ખુશી જાહેર કરે છે. ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર અને રૉની સ્ક્રૂવાલા છે તથા સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે.