મરતે દમ તક હીરોઇન બની રહીશ : કરીના કપૂર
મુંબઈ, 15 માર્ચ : બૉલીવુડના બેબો એટલે કે કરીના કપૂર જ્યારે ગત વર્ષે સૈફ અલી ખાન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં, તો લોકોને લાગ્યું કે હવે કરીના કપૂરનું ફિલ્મી કૅરિયર ઠપ થઈ જશે. અન્ય અભિનેત્રીઓની જેમ કરીના કપૂર પણ ટુંકમાં જ મોટા પડદેથી ગાયબ થઈ જશે, પરંતુ કરીનાએ તાજેતરમાં જ સૌના આવા વિચાર ઉપર પૂર્ણવિરામ મુકી દીધું અને જણાવ્યું કે તેઓ જીવશે તો હીરોઇન બનીને અને મરશે તો હીરોઇન બનીને.
કરીના કપૂરે જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે એક્ટિંગ કરતાં-કરતાં મરે. જો એક દિવસ પણ તેઓ શૂટિંગ અર્થે નથી જતાં, તો તેમને સારૂં નથી લાગતું. કરીનાએ એમ પણ જણાવ્યું કે ફિલ્મો બનાવવા અંગે હજી સુધી વિચાર્યું નથી. તેમણે તાજેતરમાં ફિક્કીના ઇનૉગ્રેશન સમારંભ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું - હું મરતે દમ તક એક્ટિંગ કરવા ધારુ છું. એક પણ દિવસ હું શૂટિંગ બંધ કરું, તે મને સારૂં નથી લાગતું. હું ઇચ્છુ છું કે મારૂં મોત પણ શૂટિંગના સેટ ઉપર જ થાય. ફિલ્મ મેકિંગ અંગે મેં હજી કંઈ વિચાર્યુ નથી. હું છેલ્લા શ્વાસ સુધી અભિનેત્રી જ બની રહેવા માંગુ છું.
કરીનાએ ડાંસિંગ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું - મને ડાંસિંગ ખૂબ ગમે છે અને હું ફિલ્મોમાં ડાંસ ચાલુ રાખીશ. જ્યારે ...ચિપકા લે ફેવીકૉલ સે... થિયેટરમાં ચલાવાય છે, તો મારી જાનમાં જાન આવી જાય છે.
નોંધનીય છે કે કરીના કપૂરે થોડાંક દિવસ અગાઉ જણાવ્યું હતું કે લગ્ન કરવાં અભિનેત્રી માટે ગુનો નથી. લગ્ન બાદ એવું નથી કે લોકો અભિનેત્રીના પાત્રને પસંદ કરવાનું બંધ કરી દે છે. તેમને તેમની તમામ ફિલ્મો સાથે પ્રેમ છે. તેઓ એક એવા ખાનદાન સાથે ધરોબો ધરાવે છે કે જેના રજે-રજમાં એક્ટિંગ વસે છે. કરીનાના દાદા રાજ કપૂરે પણ પોતાની ફિલ્મમાં એક ગીત શૂટ કર્યુ હતું કે જેના બોલ હતાં ...જીના યહાં મરના યહાં... કરીનાની આ વાત સાંભળી રાજ કપૂરનું આ ગીત યાદ આવી ગયું.