કિરણ જ નહીં, આમિર પણ અંગદાન કરવાના ઇચ્છુક
મુંબઈ, 14 ઑગસ્ટ : ફિલ્મ નિર્માતા કિરણ રાવ તો અંગદાન કરવાની પ્રતિજ્ઞા કરી ચુક્યાં છે, પણ તેમના જણાવ્યા મુજબ તેમના પતિ એટલે કે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ અંગદાન કરવાની ઇચ્છા ધરાવે છે.
કિરણ રાવે તાજેતરમાં જ પોતાની ફિલ્મ શિપ ઑફ થેસસથી પ્રેરાઈ અંગદાન કરવાની જાહેરાત કરી હતી. કિરણે મંગળવારે અહીં યોજાયેલ એક અંગદાન શિબિરમાં જણાવ્યું - આમિર પણ અંગદાન કરવાની ઇચ્છા ધરાવે છે. કિરણને લાગે છે કે તેમની ફિલ્મ શિપ ઑફ થેસસનો સંદેશ લોકો સુધી પ્રસરવમાં સફળ નિવડ્યો છે. શિબિર પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક આનંદ ગાંધી પણ હાજર હતાં.
કિરણે જણાવ્યું - જે લોકોએ પણ ફિલ્મ શિપ ઑફ થેસસ જોઈ છે, તેઓ અંગદાનને એક સુંદર અને તર્કપૂર્ણ પહેલ ગણશે, તેવો મને વિશ્વાસ છે. પોતાના મિત્રો તેમજ બિરાદરીના સાથીઓને પણ અંગદાન માટે પ્રેરિત કરી રહેલાં કિરણ રાવ કહે છે - હું જેને પણ મળીશ, અંગદાન અંગે જરૂર વાત કરીશ.