મલ્લિકા શેરાવતને ભંવરી દેવી બનવા સામે મળતી ધમકી
મુંબઈ, 29 જાન્યુઆરી : ફરી એક વાર રાજસ્થાનનો ચર્ચિત કેસ ભંવરી દેવી સીડી હત્યાકાંડ ચર્ચામાં છે. નહીં-નહીં, કોર્ટ કેસ અંગે નહીં, પણ આ વિષય પર બનતી ફિલ્મના કારણે. અભિનેત્રી મલ્લિકા શેરાવતનું કહેવું છે કે તેમને કેટલાંક અજાણ્યા શખ્સો ફોન કરી ધમકી આપી રહ્યાં છે કે તેઓ ભંવરી પર બનનાર ફિલ્મમાં લીડ રોલ ન કરે. તો બીજી બાજુ ફિલ્મ દિગ્દર્શક કે. સી. બોકાડિયાએ પણ એવી ફરિયાદ કરી છે કે તેમને કેટલાંક લોકો ધમકાવી રહ્યાં છે કે તેઓ ભંવરી કેસ ઉપર ફિલ્મ ન બનાવે, નહિંતર પરિણામ સારો નહીં આવે.
નોંધનીય છે કે ભંવરી હત્યાકાંડ ઉપર દિગ્દર્શક કે. સી. બોકાડિયા ડર્ટી પૉલિટિક્સ નામની ફિલ્મ બનાવી રહ્યાં છે કે જેમાં લીડ રોલમાં મલ્લિકા શેરાવત છે.
મલ્લિકાએ અગાઉ પણ જણાવ્યુ હતું કે તેમને આ ફિલ્મ ન કરવા માટે કોઈ ધમકી આપી રહ્યું છે. મલ્લિકાએ જણાવ્યું કે તેમના ભાઈને કોઇકે ફોન કરી ધમકી આપી છે કે તેઓ પોતાના બહેનને આ ફિલ્મથી દૂર રહેવા જણાવે, પરંતુ બોકાડિયાએ જણાવ્યું છે કે તેઓ ધમકીઓથી ડરવાનાં નથી અને કોઈ પણ પરિસ્થિતિમાં ભંવરી ઉપર ફિલ્મ બનાવીને જ જંપશે.
વર્ષ 2011નો સૌથી ચર્ચિત કેસ ભંવરી હત્યાકાંડ હતો. તેમાં નર્સ ભંવરી દેવી કે જે પછી એક લોકપ્રિય લોકગાયિકા બની હતી, તે રહસ્યમય પરિસ્થિતિઓમાં ગાયબ થઈ ગઈ હતી અને બાદમાં તેની હત્યા થઈ જાય છે. આ પ્રકરણમાં રાજસ્થાન સરકારના એક મંત્રીનું નામ ખુલ્યુ હતું કે જેને મંત્રીનો હોદ્દો ગુમાવવો જ પડ્યો અને જેલ પણ થઈ હતી.