અભિનેતા પ્રાણને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અર્પણ
મુંબઈ, 10 મે : કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ આજે બૉલીવુડના જાણીતા અભિનેતા પ્રાણને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અર્પણ કર્યો. મનીષ તિવારીએ પ્રાણના મુંબઈ ખાતે આવેલ નિવાસસ્થાને પહોંચી તેમને આ ઍવૉર્ડ અર્પણ કર્યો.
નાદુરસ્ત તબીયતના કારણે પ્રાણ નવી દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં હાજર નહોતાં રહી શક્યાં કે જ્યાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ ઍવૉર્ડ અર્પણ કર્યા હતાં.
પ્રાણ ગેરહાજર રહેતાં સરકારે તેમને તેમના ઘરે જઈ આ ઍવૉર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો અને કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી મનીષ તિવારી આજે મુંબઈ પહોંચ્યાં. તેઓ પ્રાણના ઘરે ગયાં અને તેમને રૂબરૂ મળી દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અર્પણ કર્યો.
આ પ્રસંગે મનીષ તિવારીએ જણાવ્યું કે તેમને પ્રાણને આ ઍવૉર્ડ આપતાં ખૂબ જ ખુશી થઈ રહી છે. પ્રાણ ભારતીય સિનેમાના મહાન કલાકાર છે. તેઓ નવી દિલ્હી નહોતા આવી શક્યાં તેથી અમે તેમને અહીં આવીને તેમનું સન્માન કર્યું છે.
નોંધનીય છે કે પ્રાણે સાડા ત્રણ સોથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ઝંજીર, ડૉન, ઉપકાર, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ સહિત અનેક ફિલ્મોમાં પ્રાણે યાદગાર રોલ કર્યાં છે.