કૅંસર મુક્ત થયાં ઈલૂ ઈલૂ ગર્લ મનીષા, ગણાવ્યો પુનર્જન્મ
મુંબઈ, 15 મે : બૉલીવુડના ઈલૂ ઈલૂ ગર્લ મનીષા કોઈરાલા હવે કૅંસર મુક્ત થઈ ગયાં છે. ન્યુયૉર્ક ખાતે ઓવેરિયન કૅંસરની છ માસ સુધી સારવાર લીધા બાદ મનીષા કોઈરાલા કૅંસર મુક્ત થયાં છે. તેમણે કૅંસર મુક્તિને પોતાનો પુનર્જન્મ ગણાવ્યો છે.
42 વર્ષીય મનીષાએ આજે પોતાના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરી આ સારા સમાચાર વહેતા કર્યાં કે તબીબે તેમને કૅંસર મુક્ત જાહેર કર્યાં છે. મનીષા કોઈરાલાએ જણાવ્યું - જ્યારે મેં સાંભળ્યું કે હું કૅંસર મુક્ત થઈ ગઈ છું, ત્યારે હું લાગણીવશ રડી પડી. મને વિશ્વાસ છે કે આપ લોકોની શુભેચ્છાઓ તથા પ્રાર્થનાઓના બળે હું ટુંક સમયમાં સ્વસ્થ થઈ જઇશ.
મનીષાએ પોતાના માટે પ્રાર્થના કરનાર તમામ ફૅન્સનો પણ આભાર વ્યક્ત કર્યો - બીમારી દરમિયાન મેં જોયું કે મારા જૂના-નવા મિત્રો, મારું પરિવાર, મારા કૅંસર ક્લબ સભ્યોએ મને સધિયારો આપ્યો. મારા માતા, ઈશ્વર તથા ફૅમિલી અને તમામ ફેસબુક તેમજ ટ્વિટર મિત્રોએ પણ મને સહકાર આપ્યો. આ મારો પુનર્જન્મ છે.
નોંધનીય છે કે ગત વર્ષ 28મી નવેમ્બરના રોજ મનીષા કોઈરાલા અચાનક બેભાન થઈ જતાં તેમને મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં ટેસ્ટ કરાયા બાદ સમાચાર મળ્યાં કે મનીષાને ઓવેરિયન કૅંસર છે. પછી મનીષા સારવાર માટે અમેરિકા ગયા હતાં. તેમની ઉપર ન્યુયૉર્ક ખાતેની એક જાણીતી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.
સૌદાગર ફિલ્મથી શરુઆત કરનાર મનીષા કોઈરાલાએ બૉલીવુડમાં દિલ સે, 1942 ઍ લવ સ્ટોરી જેવી ફિલ્મો પણ આપી હતી. છેલ્લે તેઓ રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ ફિલ્મમાં દેખાયા હતાં.