મનીષાએ મૌન તોડ્યું - યારો સબ દુઆ કરો...
મુંબઈ, 6 ડિસેમ્બર : બૉલીવુડના સુંદર મનીષા કોઈરાલાએ પ્રથમ વાર પોતાની બીમારી અંગે મૌન તોડ્યું છે. મનીષાએ પહેલી વાર ફેસબુક પર લખ્યું છે કે મને કૅંસર છે. જ્યારે મેં આ વાત સાંભળી હતી, ત્યારે હું એકદમથી આઘાત પામી હતી. મને સમજાતું નહોતું કે શું કરૂં? પરંતુ આપ સૌની શુભેચ્છાઓ અને દુઆઓના પગલે હવે હું સાજી થઈ જઇશ, કારણ કે હું હવે સારા લોકો વચ્ચે અને સારા લોકો સાથે છું. જિંદગીની દરેક પળ આશ્ચર્યથી ભરેલી છે. તેથી મારા માટે દુઆ કરો.
મળતી માહિતી પ્રમાણે મનીષા હાલ અમેરિકાની હૉસ્પિટલમાં છે. તેમની સર્જરી આજે થનાર હતી, પરંતુ હવે તબીબોએ વધુ ટેસ્ટ જોવાં છે. તેથી હવે સર્જરી 10મી ડિસેમ્બરે થશે.
આપને જણાવી દઇએ કે ગત 28મી નવેમ્બરના રોજ મનીષાને બેભાન અવસ્થામાં મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પછી સમાચાર મળ્યાં કે મનીષાને ઓવેરિયન કૅંસર થઈ ગયું છે, પરંતુ મનીષા કે તેમના પરિજનો તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરાઈનહીં. પછી મનીષા જસલોક હૉસ્પિટલમાંથી રજા મેળવી તરત અમેરિકા રવાના થઈ ગયાં. બીજી બાજું મનીષાને કૅંસર હોવાની વાત પ્રકાશમાં આવતાં જ તેમના માટે દુઆઓનો દોર શરૂ થઈ ગયો હતો.
ખૂબ જ સુંદર અને ગંભીર અભિનેત્રી ગણાતાં મનીષાનો 90ના દશકમાં બૉલીવુડની ટોચની અભિનેત્રીઓમાં સમાવેશ થતો હતો. મનીષાએ 1990માં સૌદાગર ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. મનીષાએ બૉમ્બે, 1942 ઍ લવ સ્ટોરી, અગ્નિસાક્ષી, ગુપ્ત, અકેલે હમ અકેલે તુમ, દિલ સે, મન અને લજ્જા જેવી બહેતરીન ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ રામ ગોપાલ વર્માની ફિલ્મ ભૂત રિટર્ન્સમાં પણ મનીષા નજરે પડ્યા હતાં.