અગિયાર દિવસથી ગુમ છે જતિન-લલિતના બહેન
મળતી માહિતી પ્રમાણે સંધ્યા જયપ્રકાશ સિંહ 13મી ડિસેમ્બરથી ગુમ છે. તેઓ સવારે 11 વાગ્યે બૅંકના કામે નવી મુંબઈના નેરૂલ ખાતે ગયા હતાં, પરંતુ ત્યારથી તેઓ ઘરે પરત ફર્યા નથી. કહેવાય છે કે સંધ્યાને વીસ લાખ રુપિયાના દાગીના સાથે તેમની એક બહેનપણીએ બૅંક પાસે સવારે 11.30 વાગ્યે છોડ્યા હતાં, પરંતુ તે દિવસે બૅંકમાં સંધ્યાના નામે કોઈ પણ પ્રકારનું લેણ-દેણ થયું નથી.
નોંધનીય છે કે સંધ્યાની વધુ બે બહેનો પણ છે. સુલક્ષણા પંડિત અને વિજયતા પંડિત. બંને પોતાના વખતની જાણીતી અભિનેત્રીઓ રહી છે, પરંતુ આમ છતાં સંધ્યાએ ક્યારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ રુખ ના કર્યો. 50 વર્ષીય સંધ્યાએ કસ્ટમ અને સેંટ્રલ એક્સાઇઝ કમિશ્નર જયપ્રકાશ સિંહ સાથે લગ્ન કર્યા હતાં. સંધ્યા 11 દિવસથી ગુમ છે, પરંતુ અત્યાર સુધી કોઈ કિડનેપરનો ફોન પણ નથી આવ્યો કે નથી તેમના અંગે કોઈ માહિતી મળી છે. પોલીસ પણ આ કેસમાં હેરાન છે.