અમિતાભ અને કસાબ બંને એકસરખાં : નિદા ફાઝલી
મુંબઈ, 12 જાન્યુઆરી : વરિષ્ઠ શાયર અને ગીતકાર નિદા ફાઝલીએ એક ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ઉર્દૂ સાહિત્યમાં મોટું નામ ધરાવનાર અને હંમેશા લોકોનું મનોરંજન કરનાર નિદા ફાઝલીનું નિવેદન સાંભળ્યા બાદ એક મોટી ચર્ચા અને વિવાદ જન્મ લઈ શકે છે. એક સાહિત્યિક મૅગેઝીન પાખીના જાન્યુઆરી અંકમાં શાયર નિદા ફાઝલીનો પત્ર પ્રસિદ્ધ થયો છે કે જેમાં તેમણે સદીના મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચની સરખામણી આતંકવાદી કસાબ સાથે કરી નાંખી છે.
ફાઝલીએ પોતાના પત્રમાં લખ્યું છે - જે રીતે આતંકવાદી અજમલ આમિર કસાબને બનાવનાર માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિજ સઈદ છે, તેવી જ રીતે અમિતાભ બચ્ચનને એંગ્રી યંગ મૅન બનાવનાર સલીમ-જાવેદની કલમ છે. તેમના કારણે જ આજે અમિતાભ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન બની શક્યાં છે. એમ કહેવામાં ખોટું નથી કે બચ્ચન અને કસાબ બંને જ કોઇક બીજાના હાથે તૈયાર થયેલ રમકડાં છે કે જેઓ લોકપ્રિય થઈ ગયાં છે.
ફાજલીએ જણાવ્યું કે એંગ્રી યંગ મૅનની સૌથી વધુ જરૂરિયાત આજે છે, પરંતુ કાયમ સિત્તેરના દશકાના એંગ્રી યંગ મૅનની જ વાત થાય છે, કેમ? સ્વાભાવિક છે કે અમિતાભ એક રમકડાં છે જે કંઈ કરી શકે એમ નથી. તેવી જ રીતે પાકિસ્તાનના રમકડાંને ફાંસી અપાઈ ગઈ, પરંતુ હાફિજ સઈદ આજે પણ ખુલ્લેઆમ ફરે છે.
ફાઝલીના આ નિવેદને ભૂકમ્પ સર્જ્યો છે. લોકોએ ફાઝલીના નિવેદનને તેમની વય સાથે જોડી દીધું છે. લોકોનું કહેવું છે કે ફાઝલી સાહેબ ઉપર ઉંમર હાવી થઈ ગઈ છે. તેથી તેઓ આવી બકવાસ કરી રહ્યાં છે.
ફાઝલીના નિવેદન અંગે ફેસબુક ઉપર જોરદાર મજાક ચાલી રહી છે અને ફાઝલીની ટીકા કરાઈ રહી છે. લોકોએ લખ્યું છે કે ફાઝલીએ જાહેરમાં માફી માંગવી જોઇએ. કથાકાર અસગર વઝાહતે પણ ફાઝલીની ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે અમિતાભ એક આદર્શ વ્યક્તિત્વ છે. આજે તેઓ જે કંઈ પણ છે, પોતાના બળે છે. કોઈ કોઈને બનાવતું કે બગાડતું નથી. વ્યક્તિનું નિર્માણ તેની વિચારસરણી તથા માતા-પિતાના સંસ્કારો કરે છે કે જે બચ્ચનમાં ભરપૂર ભરેલાં છે. અમિતાભ અને કસાબની સરખામણી કરવી ફાઝલીની મૂર્ખામી અને સઠિયાપણું છે.