‘કેક ખવડાવનાર-કૅંડલ પેઠવનાર છોડી ગયાં’
મુંબઈ, 20 નવેમ્બર : બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર આજકાલ ખૂબ દુઃખી છે. કારણ છે બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના, રુસ્તમ-એ-હિન્દ દારા સિંહ, કિંગ ઑફ રોમાંસ યશ ચોપરા તેમજ મહારાષ્ટ્રના વાઘ બાલા સાહેબ ઠાકરેનું અવસાન. આ જ કારણ છે કે દિલીપ કુમાર આ વખતે પોતાનો જન્મ દિવસ નહિં ઉજવે.
આ માહિતી દિલીપ કુમારે પોતે ટ્વિટર પર જ આપી છે. દિલીપ કુમારે લખ્યું છે કે તેઓ અને તેમનાં પત્ની સાયરા આ વખતે ખૂબ આઘાતમાં છે. બંને આ આઘાતમાંથી બહાર નથી આવી શકતાં. તેથી તેઓ પોતાનો જન્મ દિવસ નહિં ઉજવે. દિલીપ કુમારે ઠાકરેના નિધન અંગે લખ્યું છે કે ઠાકરે સાહેબ એક વાઘ નહિં, એક બબ્બર શેર હતાં.
દિલીપ કુમાર લખે છે - રાજેશ ખન્નાએ ગત જન્મ દિવસે મારી સાથે કેક ખાધી હતી, તો યશ ચોપરાએ મારા માટે કૅંડલ પેઠવી હતી અને દારા સિંહે મને ગળે લગાડી મુબારકબાદી આપી હતી. આ સૌને આ વખતે હું ખૂબ મિસ કરીશ. તેથી હું પોતાનો જન્મ દિવસ નહિં ઉજવું.
આપને જણાવી દઇએ કે દિલીપ કુમારે ગત વર્ષે જ પોતાના જન્મ દિવસે ટ્વિટર ઍકાઉંટ ખોલ્યુ હતું. ટ્વિટર ઍકાઉંટ ખોલતાં દિલીપ સાહેબને સૌપ્રથમ અભિનંદન સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તરફથી મળ્યા હતાં.
અમિતાભ બચ્ચને જ લોકોને વિનંતી કરી હતી કે તેઓ દિલીપ કુમાર સાથે ટ્વિટર ઉપર જોડાય અને જોત-જોતામાં જ દિલીપ કુમાર સાથે લગભગ 63 હજાર લોકો જોડાઈ ગયા હતાં. આ અંગે દિલીપ સાહેબે કહ્યુ હતું કે લોકો આ વૃદ્ધ સાથે એટલો પ્રેમ કરે છે, તેઓ નહોતા જાણતાં.