Pankaj Dheer Death: મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન, લાંબા સમયથી કેન્સરની સારવાર હેઠળ હતા
Pankaj Dheer Death: બી.આર. ચોપરાની લોકપ્રિય ધારાવાહિક 'મહાભારત'માં 'કર્ણ'નું અમર પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું આજે, 15 ઓક્ટોબર 2025ના રોજ નિધન થયું છે. 68 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અને તેમના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર, પંકજ ધીર લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

મિત્ર અને સહકર્મીએ નિધનની કરી પુષ્ટિ
દિવંગત અભિનેતાના લાંબા સમયના મિત્ર અને સહકર્મી અમિત બહલ (CINTAAના સભ્ય)એ અભિનેતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્સર ફરીથી ઊથલો માર્યો હતો અને તાજેતરમાં મોટી સર્જરી કરવામાં આવી હોવા છતાં, તેમની તબિયત સુધરી શકી નહોતી. પંકજ ધીરના નિધનથી આઘાતમાં સરી પડેલા 'મહાભારત'માં 'અર્જુન'નું પાત્ર ભજવનાર ફિરોઝ ખાને એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું, "હા, આ સત્ય છે કે તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. અંગત રીતે, મેં એક ખૂબ જ સારા મિત્ર ગુમાવ્યા છે. તેઓ ખરેખર એક અદ્ભુત વ્યક્તિ હતા. હું હજી પણ આઘાતમાં છું."
CINTAA દ્વારા સત્તાવાર નિવેદન
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA) તરફથી એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પંકજ ધીરના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. CINTAAના નિવેદનમાં જણાવાયું છે કે, "અમારા ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને CINTAAના ભૂતપૂર્વ મહાસચિવ પંકજ ધીરનું આજે 15 ઓક્ટોબર 2025ના રોજ અવસાન થયું છે."
અંતિમ સંસ્કારની વિગતો
પંકજ ધીરના અંતિમ સંસ્કારની વિધિ આજે સાંજે 4:30 વાગ્યે મુંબઈના વિલે પાર્લે (પશ્ચિમ) સ્થિત પવન હંસની બાજુમાં કરવામાં આવશે. અભિનેતા પંકજ ધીર માત્ર 'કર્ણ'ના પાત્ર માટે જ નહીં, પરંતુ તેમની સકારાત્મકતા અને ઉમદા સ્વભાવ માટે પણ જાણીતા હતા. તેમનું નિધન મનોરંજન જગત માટે એક મોટી ખોટ છે.












Click it and Unblock the Notifications
