નફરત-મહોબ્બત વચ્ચે રુંધાતા દીપિકા પાદુકોણે
મુંબઈ, 20 ફેબ્રુઆરી : આજકાલ ફરી એક વાર અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી દીપિકા પાદુકોણે ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની. ફિલ્મ એક પ્રણય-કથા છે કે જેના માટે બંનેના એક્સ લવને વટાવવાના પુરતા પ્રયત્નો કરાઈ રહ્યાં છે. સૌને લાગે છે કે રણબીર-દીપિકા વચ્ચે સાચે જ નિકટતાઓ પેદા થઈ છે. બંને વચ્ચેના પ્રથમ પ્રણયમાં હજુય એવું કંઈક બચ્યું છે કે જે તેમને એક-બીજાની વાત સાંભળવા માટે મજબૂર કરે છે.
કહે છે કે બંને શૂટિંગ સેટ ઉપર કલાકો ગાળે છે. સાથે ભોજન આરોગે છે, એક-બીજા સાથે મજાક-મસ્તી કરે છે. સામાનય રીતે કો-સ્ટારો વચ્ચે આટલી મૈત્રી દેખાતી નથી, પરંતુ દીપિકા છે કે હજુય એ જ ગાણું ગાઈ રહ્યાં છે કે તેઓ રણબીર સાથેનું પોતાનું ભૂતકાળ ભુલી ચુક્યાં છે અને તેઓ રણબીરના માત્ર એક મિત્ર છે.
પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે આખરે તે કઈ વસ્તુ છે કે જેના કારણે દીપિકા મૅડમ સત્ય સ્વીકારી નથી શકતાં. કદાચ કેટલાંક જૂના સંબંધોની કડવાશ અને નફરત છે કે જે રણબીર નજીક જતા તેમને રોકે છે. કદાચ દીપિકા માટે અહીં એમ કહેવું જ યોગ્ય હશે કે નફરત પાસ ન આને દે, મહોબ્બત દૂર ન જાને દે. ખેર હકીકત શું છે, એ અંગે તો પછીથી ખબર પડી જ જશે, પણ બંનેના અફૅરના કારણે આ ફિલ્મ અત્યારથી જ લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.