વિદ્યાની થશે વિદાય અને રાણીની આવશે જાન
મુંબઈ, 12 ડિસેમ્બર : આ વર્ષે બૉલીવુડની અનેક બહેતરીન અભિનેત્રીઓ લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ, તો વર્ષાંતે વિદ્યા બાલન પરણવા જઈ રહ્યાં છે. બીજી બાજુ નવા વર્ષના આરંભે વધુ એક અભિનેત્રી રાણી મુખર્જીના લગ્નના સમાચાર મળી રહ્યાં છે. એક બાજુ વિદ્યા વિદાય થશે અને બીજી બાજુ રાણીની જાન આવશે.
જાણવા મળતી માહિતી પ્રમાણે 2013ની શરુઆતમાં એટલે કે જાન્યુઆરીમાં રાણી મુખર્જી પણ પોતાના બૉયફ્રેન્ડ આદિત્ય ચોપરા સાથે લગ્ન કરવાનાં છે. આદિત્ય ચોપરાના પિતા યશ ચોપરાનું આ વર્ષે નિધન થતાં રાણી અને આદિત્યના લગ્ન થોડાંક ખેંચાઈ ગયા, પરંતુ સાથે-સાથે યશજીના નિધન દરમિયાન રાણી અને આદિત્ય વચ્ચે નિકટતા વધી ગઈ.
અફવા તો એ પણ ફેલાઈ કે રાણીએ આદિત્ય સાથે લગ્ન કરી લીધાં છે, પરંતુ પછી રાણી-આદિત્ય બંનેએ આ વાત ફગાવી દીધી. હવે ફરી નવેસરથી જાણવા મળે છે કે બંને આવતા મહીને લગ્ન કરી શકે છે. એટલે જ રાણી હાલ કોઈ પણ નવી ફિલ્મ સાઇન નથી કરી રહ્યાં કારણ કે તેઓ પોતાનું ધ્યાન લગ્ન ઉપર કેન્દ્રિત કરવા માંગે છે. લગ્નની તૈયારીઓ માટે તેમને સમય જોઇશે.
બૉલીવુડમાં વિદ્યા બાલન આગામી શુક્રવારે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્નગ્રંથિથી જોડાનાર છે, તો અગાઉ કરીના કપૂર, એશા દેઓલ જેવી અભિનેત્રીઓ પણ આ જ વર્ષે લગ્નગ્રંથિથી જોડાઈ છે. વિદ્યા બાદ હવે રાણીએ પણ આખરે લગ્ન કરી સૅટલ થઈ જવાનો નિર્ણય કરી લીધો છે. રાણીના મૅનેજરે પણ કહ્યું જ છે કે રાણી આવતા વર્ષે લગ્નગ્રંથિથી જોડાઈ જશે.