રણવીરને હૉસ્પિટલમાંથી મળી રજા, 15 દિવસ આરામ કરશે
મુંબઈ, 4 ઑક્ટોબર : બૉલીવુડના નવા-નવા અભિનેતા ગણાતા રણવીર સિંહ સાજા થઈ ગયાં છે અને તેમને હૉસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. તેમને તબીબોએ પંદર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
ગત 27મી સપ્ટેમ્બરે રણવીર સિંહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કોલકાતામાં ગુન્ડે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ બીમાર થઈ ગયા હતાં. મુંબઈ આવ્યા બાદ તબીબોએ નિદાન કર્યું કે રણવીર સિંહ ડેંગ્યુથી પીડાય છે. તે પછી તેમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરી દેવાયાં.
રણવીર સિંહ છ દિવસ હૉસ્પિટલમાં રહ્યાં. જોકે તેમની હાલતમાં સતત સુધારો થતો હતો, પરંતુ કહે છે કે દીપિકા પાદુકોણે મળવા આવ્યા બાદ રણવીર સિંહ એકદમ સાજા થઈ ગયાં. રણવીરે તેમના માટે દુઆઓ કરનાર ફૅન્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલે રણવીર સિંહને હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ. રણવીરના પ્રવક્તાના જણાવ્યા મુજબ તબીબોએ તેમને પંદર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
રણવીર સિંહ હાલ પોતાની આવનાર ફિલ્મ રામલીલા અંગે ચર્ચામાં છે. ફિલ્મનું જોરદાર પ્રમોશન ચાલી રહ્યું છે. જોકે રણવીર બીમાર પડતાં ફિલ્મના પ્રમોશનમાં થોડાક વિઘ્નો ઉભા થયા છે. દીપિકા પાદુકોણે સાથેની રણવીરની આ પ્રથમ ફિલ્મ રામલીલા આગામી 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે.