રિવ્યૂ : સાચી મૈત્રીને સમર્પિત છે ફિલ્મ ‘કાઇ પો છે’
છેલ્લા કેટલાંક વર્ષોથી બૉલીવુડમાં સાચી મૈત્રીના સંબંધને બૉક્સ ઑફિસે વટાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. આ થીમને અનેક દિગ્દર્શકોએ પોતાની ફિલ્મોમાં યૂઝ કરી અને સારી કમાણી પણ કરી. હવે ફરી એક વાર દિગ્દર્શક અભિષેક કપૂર આ જ થીમ સાથે પોતાની ફિલ્મ કાઇ પો છે લઈને હાજર થયાં છે. રૉક ઑન જેવી ફિલ્મનું દિગ્દર્શન અગાઉ કરી ચુક્યાં છે અભિષેક કપૂર.
કાઇ પો છે ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર યાદવ અને અમિત સાધ મુખ્ય ભૂમિકામાં છે. ત્રણે કલાકારો પ્રથમ વાર કોઈ ફિલ્મમાં નજરે પડી રહ્યાં છે. કાઇ પો છે ફિલ્મની વાર્તા ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સ પર આધારિત છે કે જેઓ પોતાના સપનાં સાકાર કરી બતાવવા પોતાની સાથે-સાથે આખી દુનિયા સામે ઝઝૂમે છે.
વાર્તા : ગુજરાતમાં થયેલ રમખાણો પર આધારિત કાઇ પો છે ફિલ્મ ત્રણ મિત્રો ઈશાન ભટ્ટ (સુશાંત સિંહ રાજપૂત), ઓમકાર શાસ્ત્રી (અમિત સાધ) અને ગોવિંદ પટેલ (રાજકુમાર યાદવ)ની કહાની દર્શાવે છે. ત્રણે મિત્રો પોતાના સપનાં સાકાર કરવા નવી સદીમાં કઈ રીતે ઝઝૂમે છે, તે સુંદર રીતે દર્શાવાયું છે. ફિલ્મની વાર્તા શરૂ થાય છે તે વખતથી કે જ્યારે ભારત પરમાણુ ઊર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં રહેતાં ત્રણ યુવાનો પાસે આ સૌથી સારો સમય હતો પોતાનો બિઝનેસ શરૂ કરવાનો. ભારત જેવા દેશમાં ક્રિકેટને ધર્મ ગણાય છે, ત્યાં ત્રણે મિત્રો મળી એક ક્રિકેટ ટ્રેનિંગ એકેડમી ખોલવાન પ્લાન કરે છે કે જેથી તેઓ ક્રિકેટ ક્ષેત્રે દેશને નવા સુપરસ્ટાર્સ આપી શકે, પરંતુ તેમની કિસ્મત તેમનો સાથ નથી આપતી અને તેમનો પ્લાન ફ્લૉપ થઈ જાય છે. ગોધરાકાંડ બાદ થયેલ રમખાણોના કારણે તેમનો પ્લાન માટીમાં મળી જાય છે અને ત્રણેને ખરાબ સમયનો સામનો કરવો પડે છે, પરંતુ તેમની મૈત્રી અગાઉની જેમ જ મબજૂત બની રહે છે. કાઇ પો છે દોસ્તી, સપનાં અને પૅશનની વાર્તા છે. ફિલ્મની વાર્તા ક્યારેક આપને હસાવે છે, તો ક્યારેક રડાવે છે, પરંતુ ફિલ્મમાં સચ્ચાઈ દરેક પગલે નજરે પડે છે. ફિલ્મમાં સામાન્ય માણસની ક્રિકેટ, સિનેમા તથા પૉલિટિક્સ પ્રત્યે ઘેલછા સ્પષ્ટ જોવા મળે છે. ફિલ્મમાં ક્યાંય પણ ઓવરડ્રામા નથી. આખી ફિલ્મ યથાર્થના ધરાતલે તૈયાર કરાઈ છે.
અભિનય : અભિષેક કપૂરે એક વાર કહ્યુ હતું કે બૉલીવુડનો કોઈ પણ મોટો એક્ટર તેમની ફિલ્મમાં કરવા નથી માંગતો, પરંતુ ફિલ્મ જોયા બાદ આપણે કહી શકીએ કે આ ત્રણે ચહેરાઓને લઈ અભિષેકે કંઈ ખોટું નથી કર્યું. સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મમાં આઉટ ઑફ ધ બૉક્સ પરફૉર્મન્સ આપી છે. અમિત સાધે પોતાના પાત્ર ઓમી સાથે પૂરતો ન્યાય કર્યો છે અને રાજકુમાર યાદવે પોતાની એક્ટિંગ સ્કિલ્સ દ્વારા સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં છે. સરવાળે કાઇ પો છે ફિલ્મ બહેતરીન બનાવવામાં ત્રણે એક્ટરોનો જોરદાર ફાળો છે.