અજયની આડે શાહરુખ સામે સલમાનનો ખુલ્લો જંગ
મુંબઈ, 26 ઑક્ટોબર : સલમાન વર્સિસ શાહરુખનો જંગ સતત ચાલુ છે. ભલે શાહરુખ બધુ ભુલી સલમાન ખાન સાથે મિત્રતા કરવા માંગતા હોય, પરંતુ સલમાન શાહરુખ સાથે બાથ ભીડવાની કોઈ તક છોડવા નથી માંગતા. આ વખતે તો સલમાને ખુલ્લા જંગની જાહેરાત કરી દીધી છે.
થયુ એમ કે શાહરુખ ખાન અને અજય દેવગણની ફિલ્મો આગામી 13મી નવેમ્બરે એક સાથે રિલીઝ થવા જઈ રહી છે. એક બાજુ શાહરુખની યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન દીવાળીના દિવસે રિલીઝ થશે, તો બીજી બાજુ અજય દેવગણની સન ઑફ સરદાર પણ આ જ દિવસે સોનેરી પડદે ચમકશે. બંનેની ફિલ્મોની રિલીઝિંગ ડેટ અંગે સતત નિવેદનબાજી ચાલી રહી હતી કે હવે સલમાન ખાને પણ આ જંગમાં ભુસકો માર્યો છે.
સલમાને પોતાના મિત્ર અજય દેવગણ માટે ફિલ્મનું પ્રચાર પોતાના હાથે લઈ લીધું છે. સલમાને પ્રચાર અગાઉ જ ટ્વિટર પર લખ્યું છે - પઠાન કે યાર સે પંગા મત લેના... સૉરી યાર, દીવાળી બેકાર વિધાઉટ સન ઑફ સરદાર. એટલું જ નહિં, સમાચાર એવાં પણ છે કે સલમાન ખાને અજય દેવગણ માટે પોતાની ફિલ્મમાં એક આયટમ નંબર પણ કર્યો છે.
હવે આપ સમજી શકો છો કે સલમાન ખાને પઠાન શબ્દ કોના માટે પ્રયોગ કર્યો છે. પહેલાં એવું કહેવાઈ રહ્યુ હતું કે સલમાન જબ તક હૈ જાન માટે કઈં જ નહિં કહે, કારણ કે આ ફિલ્મમાં તેમની એક્સ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ છે, પરંતુ અજય દેવગણની એસઓએસ માટે ટ્વિટર પર સલમાનની આ પ્રકારની વાતોથી સ્પષ્ટ છે કે સલમાન શાહરુખ સાથે બાથ ભીડવાની કોઈ તક છોડવા નથી માંગતાં.