મેંટલ સલમાન પહોંચ્યા ‘વિજય શ્રીવાસ્તવ’ની મુલાકાતે
મુંબઈ, 17 જુલાઈ : તાજેતરમાં જ સમાચાર મળ્યા હતાં કે સલમાન ખાન હૈદરાબાદ ખાતે મેંટલના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયાં છે, પરંતુ સલમાન ખાને પોતાના ફૅન્સની ચિંતા દૂર કરતાં જણાવ્યું કે તેઓ ઈજાગ્રસ્ત નથી. સલમાને જણાવ્યું - હું ઈજાગ્રસ્ત નથી. માત્ર પગમાં મોચ આવી હતી દોડતી વખતે. હવે હું એકદમ સાજો છું અને પુનઃ એક્શનમાં આવી ગયો છું.
સલમાન ખાન આજકાલ મેંટલ ફિલ્મનું શૂટિંગ કરી હૈદરાબાદથી મુંબઈ પરત ફર્યાં છે, પરંતુ આપને જણાવી દઇએ કે હૈદરાબાદની રામોજી સિટીમાં જ્યાં સલમાન ખાન શૂટિંગ કરતા હતાં, તો બીજી બાજુ સાઉથના સુપર સ્ટાર રામ ચરણ તેજા પણ પોતાની તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતાં. સલમાન ખાન અચાનક આ ‘વિજય શ્રીવાસ્તવ'ને મળવા પહોંચી ગયાં.
નોંધનીય છે કે આ એ જ રામ ચરણ તેજા છે કે જેઓ અમિતાભ બચ્ચન અભિનીત ઝંજીર ફિલ્મની રીમેકમાં વિજય શ્રીવાસ્તવ નામનું પાત્ર ભજવી રહ્યાં છે. ફિલ્મમાં તેજાના હીરોઇન પ્રિયંકા ચોપરા છે. સલમાનને સેટ પર જોઈ રામ ચરણ તેજા ખુશખુશાલ થઈ ગયાં. તેમને સમજાતુ નહોતું કે તેઓ શું કરે. સલમાન ખાન તેજાને ભેંટ્યા અને તેમના અભિનયના વખાણ કર્યાં. સલમાને તેજાને બૉલીવુડ પ્રવેશ માટે શુભેચ્છાઓ પાઠવી.
રામ ચરણ તેજા ઝંજીર દ્વારા બૉલીવુડ પ્રવેશ કરી રહ્યાં છે. ફિલ્મમાં તેમની સાથે પ્રિયંકા ઉપરાંત સંજય દત્ત પણ છે કે જેઓ જૂની ઝંજીરના પ્રાણ એટલે કે શેરખાનની ભૂમિકામાં છે.