હીરોના હીરો સૂરજ પંચોલી જ હશે : સુભાષ ઘઈ
મુંબઈ, 19 જુલાઈ : ગત 3જી જૂનના રોજથી મુશ્કેલીઓનો સામનો કરતાં અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી માટે એક રાહતના સમાચાર છે કે હીરો ફિલ્મની રીમેકમાં તેઓ જ હીરો હશે. આ વાત સુભાષ ઘઈએ જણાવી છે. તેમનું કહેવું છે કો કોઈના અંગત જીવન સાથે અમારો કોઈ સંબંધ નથી. હું અને સલમાન ખાન બંને આ બાબત ઉપર અડિગ છીએ અને સૂરજ તથા અથિયા શેટ્ટી જ હીરોની રીમેકના લીડ કપલ હશે.
આ અગાઉ સલમાન ખાને પણ સૂરજને જામીન મળ્યા બાદ મળવા માટે હૈદરાબાદ બોલાવ્યા હતાં. સલમાન ખાન સૂરજ અને સુનીલ શેટ્ટીના પુત્રી અથિયા શેટ્ટી સાથે હીરોની રીમેક બનાવવાની મોટા ઉપાડે તૈયારી કરી રહ્યા હતાં કે જિયા ખાન આત્મહત્યા કેસ સામે આવ્યો અને સૂરજ પંચોલી તેમાં સંડોવાઈ ગયાં.
નોંધનીય છે કે જિયા ખાન આત્મહત્યા કેસમાં ફસાયેલા સૂરજ પંચોલી જામીન ઉપર મુક્ત થયા બાદ અત્યાર સુધી જાહેરમાં આવ્યાં નથી. સૂરજના માતા ઝરીના વહાબ કહે છે કે સૂરજ હાલ આઘાતમાં છે. તેને સામાન્ય થતા સમય લાગશે. જિયા ખાને ગત 3જી જૂનની રાત્રે આત્મહત્યા કરી હતી. જિયાના માતા રાબિયા ખાને આરોપ લગાવ્યો હતો કે જિયા ખાનના મોત માટે સૂરજ પંચોલી જવાબદાર છે.